પૃષ્ઠ:Gangasatina Bhajano.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જ્યાં લગી લાગ્યાનો ભય

જ્યાં લગી લાગ્યાનો ભય રહે મનમાં,
ત્યાં લગી ભગતિ ન થાય રે,
શરીર પડે વાકો ધડ લડે,
સોઈ મરજીવા કહેવાય રે ... જ્યાં લગી

પોતાનું શરીર માને નહીં મનનું,
શરીરના ધણી મટી જાય રે,
સદગુરુ ચરણમાં શીશ નમાવે
ત્યારે પૂરણ નિજારી કહેવાય રે ... જ્યાં લગી

નવધા ભક્તિમાં નીર્મળ રહેવું ને
મેલી દેવી મનની તાણાતાણ રે,
પક્ષાપક્ષી નહીં હરિ કેરા દેશમાં
એનું નામ જ પદની ઓળખાણ રે ... જ્યાં લગી

અટપટો ખેલ આ ઝટપટ સમજાય ના
એ તો જાણવા જેવી છે વાત રે,
ગંગા સતી એમ બોલિયા પાનબાઈ,
ત્યારે મટી જાયે સાચે જાત રે ... જ્યાં લગી