પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
ગ્રહાષ્ટક વત્તા એક
 


‘સાચા નહિ તો ખોટા ?’

‘નાટકના માણસની વાત છે.’ લેડી જકલ બોલ્યાં.

‘શિવ, શિવ, શિવ !’ કંદર્પકુમાર પોકારી ઊઠ્યા. ‘આ તે કેવું ઘોર અજ્ઞાન !’

‘કેમ ભલા ? અમારો શો ગુનો થયો ?’

‘આ તમે કાર્તિકેયનું નામ પણ નથી સાંભળ્યું ?’

‘ન સાંભળ્યું હોય તેથી શું થયું ? ઓળખાણ–પિછાણ વિના નામ ક્યાંથી સાંભળીએ ?’

‘અરે, હું તો ઇન્દ્રવિજયવાળા કાર્તિકેયની વાત કરું છું.’

‘પણ હું એને ઓળખતો જ ન હોઉં, પછી એનું નામ ક્યાંથી જાણું ?’

‘શિવ શિવ શિવ ! તમે લોકો આટલા અસંસ્કારી હશો એવું મેં નહોતું ધાર્યું.’

‘જેટલી સંભળાવવી હોય એટલી સંભળાવી લો. આજકાલ મારા ઉપર ગ્રહાષ્ટક ઉપરાંત પણ એક વધારાના ગ્રહની દશા ચાલે છે.’

‘હું દેવોના સેનાપતિ કાર્તિકેયની વાત કરું છું ત્યારે તમે તમારા ઓળખીતાપાળખીતામાં એની ખોળ કરો છો.’

‘વૉય ધાડેના !’ સર ભગન પોકારી ઉઠ્યા ‘ત્યારે આમ તોડીફોડીને કહેતા હો તો કેવા વહાલા લાગો ! બાકી, અમે શાસ્ત્રો થોડાં વાંચ્યાં હોય કે દેવોના સેનાપતિનું નામ સાંભળ્યું હોય ?’

‘એ સેનાપતિ કાર્તિકેયની ભૂમિકા મને પાછી મળવી જોઈએ.’

‘તે એ લઈ કોણે લીધી છે તમારી પાસેથી.’

‘તમારી સુપુત્રીએ.’ કહીને કંદર્પકુમારે ગર્જના કરી, ‘આ કંદર્પકુમાર સિવાય કાર્તિકેયની ભૂમિકા ભજવનારનો જાન સલામત નહિ રહે.’

આવી લડાયક ભાષા સાંભળીને સર ભગન ગભરાયા.