પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રહી શકે અને સંસ્થાનું નામ રોશન કરી શકે. સંસ્થાનું નામ ઉજ્જવળ થશે તો વિદ્યાર્થીનું ગૌરવ થશે અને વિદ્યાર્થીની શોભા વધશે તો સંસ્થાની પણ શોભા વધશે આ ભૂમિકા પરસ્પર પૂરક છે.

સંસ્થાનાં સંચાલકો અને કાર્યકરોને અપીલ છે કે વિદ્યાર્થીઓને વધુને વધુ અનુભવો પ્રાપ્ત થાય તેવા કાર્યક્રમો ગોઠવે, એવા લોકોને આમંત્રિત કરવામાં આવે, એવા સ્થળોએ લઈ જવામાં આવે, જ્યાંથી તેમને વધુને વધુ અનુભવો મળે કારણ કે અનુભવોથી જ શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત થાય છે. કૂપમંડૂકતામાંથી બહાર લાવવાનો આ જ શ્રેષ્ઠ રસ્તો છે. વિદ્યાર્થીઓ પણ પોતાનામાં રહેલી આંતરિક શક્તિઓ - માનસિક શક્તિઓને જગાવે. જે પ્રાપ્ત કરવું હોય, મેળવવું હોય તેનું મનોચિત્રણ કરે. આ ચિત્રણ જે પ્રાપ્ત કરવું હોય તેનું આબેહૂબ હોવું જોઇએ. ચિત્રણ પછી તેને દરરોજ વાગોળવું એટલે કે જોવું. આનાથી આપોઆપ એવા સંજોગો ઊભા થતા જશે જે તમને ધ્યેયસિદ્ધિની દિશામાં લઇ જશે. પ્રબળ સંકલ્પ સિદ્ધિ અપાવે છે, પણ તેમાં શંકા-કુશંકાને ક્યાંય સ્થાન ન હોવું જોઇએ. મારા જાત અનુભવથી કહુ છું કે, ‘આમાં સફળતાની ટકાવારી સો એ સો ટકા છે. મારાં અનેક સ્વપ્ન આ રીતે સિદ્ધ થયાં છે. તમામ સ્વપ્નો પણ આ રીતે પૂરા થાય, એ જ અભ્યર્થના’.


[૧૩૪]