૧
દૃષ્ટિ વિહોણાં દર્શન
દાર્શનિક ચિત્રની સમજ આંખોની દૃષ્ટિ દ્વારા વ્યકિતને મળે છે. તે પોતાની આંખોની કીકી વડે તેની સામેના દૃશ્યો કેદ કરી મગજ સુધી તે સંકલ્પના પહોંચાડે છે. આ પ્રક્રિયાને આપણે આંખોથી જોયું અથવા આંખો જુએ છે તેમ કહીએ છીએ. મેં પણ બાલ્યાવસ્થામાં મારી આંખો વડે આવાં અનેક દૃશ્યો નિહાળ્યાં છે. બાલમાનસના કારણે તેની સ્મૃતિ તાજી થતી નથી પરંતુ ગામડા ગામની એક શેરીમાં આવેલા બ્રાહ્મણના મકાનમાં બાપુજી ભાડાથી રહેતા હતા. આ ભાડાનું મકાન મેડીવાળું હતું. મેડીની એક બારી જે મકાનના પાછળના ભાગમાં ખૂલતી હતી, ત્યાં પાછળ બાલમંદિર અને એક લીમડો હતો. આ મકાનમાં ૧૫ માર્ચ ૧૯૬૭ ના રોજ બપોરના સમયે મારો જન્મ થયો. જન્મ સમય બાદ મારો બાળ ઉછેર પણ આ જ મકાનમાં થઇ રહ્યો હતો. લગભગ બે સવા બે વર્ષની ઉંમરે પેલી પાછળની બારીથી બાલમંદિરના લીમડામાં ભરાયેલો એક પતંગ મેં જોયેલો તે યાદ આવે છે. પવનની લહેરખી આવતાં પતંગ જે ધમાચકરડી, ગુલાંટ લગાવી ઊંચ-નીચે ફરકતો તે આખું દૃશ્ય રોશની વગરની આંખોમાં આજે પણ તાજું છે ! મને એ પણ યાદ છે કે પિતાએ ખરીદેલા સીમ
વિસ્તારમાં આવેલા પ્લોટમાં અમારે રહી શકાય તેવું એક ઘર બાંધવાનું છે.