પૃષ્ઠ:Kankavati.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હાથે તાપ કરીને તાપે નહિ.
તાપ કરે તો પાપ લાગે.
તપાડે તેને પુણ્ય થાય.


ધર્મ રાજાનું વ્રત


[ખીસર (મકરસક્રાંતિ)ના દિવસથી આ વ્રત કરાય છે. હોંકારો દેનાર, પ્રત્યેક વાક્યના વિરામે 'ધરમ રાજા' 'ધરમ રાજા' કહે છે. છ મહિના સુધી નાહીધોઈને વાર્તા કહેવાય છે.]

ક રાજાની કુંવરી હતાં.

એનાં મરતક આવ્યાં.

મરીને એ તો ધરમ રાજાના દરબારમાં ગયાં.

ધરમ રાજા ! ધરમ રાજા ! લેખાં લ્યો.

લેખાં લેવાય નહિ, કે' છે.

અરે મહારાજ ! વ્રત કર્યાં વરતુલા કર્યાં,

ધરમ કર્યું, નીમ કર્યું;

માટે લેખાં લ્યો ને લ્યો.

સંધાં વ્રત કર્યાં; પણ મારું વ્રત ન કર્યું,

માટે લેખાં નહિ લેવાય.

છ મહિનાની આવરદા દ્યો, તો તમારું વ્રત કરવા જાઉં.

છ મહિનાની આવરદા દ‌ઉં ને તમે પાછાં ન આવો તો ?

કે', મહારાજ, હું પાછી આવીશ ને આવીશ.

બાઈના હાથમાં તો ધરમરાજાએ લીલા પીળા લેખ લખી દીધા.

કે', મહારાજ, છ મહિનાનું વ્રત કરીને તમારા વ્રતનું ઊજવણું શું ?

સોનાનો કુંભ, સોનાની દીવી, સોનાનો સૂંડલો, સોનાનું કોડિયું, સવા માણું સાચાં મોતી, સાચી ખાલ, સરગ-નીસરણી ને સાખીઓ: એટલાં વાનાં.

હું તો, મહારાજ, કરીશ. હું તો રાજાની કુંવરી છું,પણ ગરીબ સરીબ શી રીતે કરશે ?

ગરીબ સરીબને માટીનો કુંભ, લાકડાની દીવી, વાંસનો સૂંડલો, ત્રાંબાનું કોડિયું, સવા માણું જાર, સાચી ખોટી ખાલ : એટલાં વાનાં.

કે' જાવ જાવ, બાઈનું ખોળિયું બાળી દેશે. મરતલોકમાં મેલી આવો.