ભાઈ૦: આંધળી છે ?
રાજા: હા.
ભાઈ૦: ત્યારે કોઈક વૈદને બોલાવીએ.
રાજા: ક્યાંથી વૈદ લાવીએ. શેહેરમાં વૈદનો વંશ ગયો છે, કોઈને પોતાની વિદ્યા પૈશા વિના ભણાવી નહી તેથી.
ભાઈ૦: લ્યો. હું તપાસ કરૂં એ દાજીભાઈ, દાજીભાઈ.
દાજી: અલ્યા હાજી ભાઈ કેને કહે છે શું મુસલમાન દીઠા.
ભાઈ૦: અરે આપણા શેહેરમાં કોઈ વૈદ છે ?
દાજી: હશે પણ મેં તો સાંભળ્યો નથી.
ભાઈ૦: વૈદ વિના આ માંદા લોકોને કોણ મારી નાંખતું હશે ?
દાજી: અરે આ શેહેરમાં નથુડો હજામ બરાબર વઈદું જાણે છે. તે તેની નાડ ઝાલે છે તે તુરત દુધેશ્વર પહોંચે છે.
રાજા: હું જાંણું છું કે ધનવંતરીના દેવળમાં એને લેઈ જઈને શુવારીએ.
ભાઈ૦: ઠીક છે કાંઈ વિલંબ કરવી નહી. એ જ કરવું.
રાજા: ચાલો ત્યારે.
ઝાંપડો૦: અરે લુચ્ચાઓ શો અન્યાય, અધર્મ, ન કરવાનું કામ કરો છો ઉભા રહો, ઉભા રહો જશો નહી, ક્યાં જાઓ છો ?
ભાઈ૦: અરે પારશનાથ, વળી આ કોણ આવે છે ?
ઝાંપડો: અરે દુષ્ટ તમારૂં મોત ભુંડે હાલે હું કરાવીશ, તમે જે કામનો વિચાર કરો છો, એવું પરમેશ્વર પણ આજ સુધી કરી શક્યો નથી તો તમોથી શું થશે, એ ઇંન્દ્ર નહીં સાંખે અને કોઈ માણસ પણ નહીં સાંખે તમારૂં જરૂર મોત આવ્યું છે.
રાજા: એ તો બધુંય ઠીક છે, પણ તું કોણ છું જે ઉતાવળો ઉતાવળો બોલે છે, પણ પાસે લુગડું તો પેરવા નથી જણાતું.
ભાઈ૦: અરે ઝાંપડો હશે.
રાજા: એને પકડી લ્યો.
ઝાંપડો: પકડી શું લેશો, તમે મને ઓળખો છો ?
રાજા: તું કોઈ નીચ વરણ છું નહીં તો અમારા સામો બકવા કરત નહીં.
ઝાંપડો: બોલુ નહીં કેમ ? તમે મને દુનિયાં ત્યાગ કાઢવા ને મંડ્યા છો ને.
રાજા: ત્યારે તારે સારૂ નરકમાં જગા છે કે નહીં. તું બોલ તો ખરો તું છે કોણ ?
ઝાંપડો: હું એવો છું કે જે મને જગતમાંથી કાઢવા ચહાય તેને શિક્ષા કરૂં.
ભાઈ૦: અરે એ તો એ જ હશે તો જે તુરંગમાં ફાંશી દેવાનું કામ કરે છે.