લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
મા બાપ થવું આકરું છે
 

જ્યારે આપણે આપણા મિત્રો અને કુટુંબકબીલા વચ્ચે હોઇએ છીએ ત્યારે વળી આપણું વર્તન બીજા પ્રકારનું થાય છે. આપણે છૂટથી બોલીએ છીએ. ઉપરની શિષ્ટતા ને સામાનું સન્માન કરવાનો સામાજિક વિચાર મિત્રો પરત્વે ઓછો રહે છે; ને તેથી ઘણી વાતો એવી થઈ જાય છે કે જે બહારના માણસો સાંભળવાને તૈયાર ન હોય અથવા સાંભળીને જરા ચમકે, ગમતરમતની, મશ્કરીઠઠ્ઠાની કેટલાક પ્રકારની વાતો આવે વખતે સહજ હોય છે, ને તે કોઇને આ યોગ્ય લાગતી નથી.

મંડળીનું વર્તુળ આથી યે ટૂંકું કરીએ તો ઘરનાં માણસો રહે. તેઓ વચ્ચે તો ઘણી ઘણી જાતની વાતો ચાલે છે. તેમને બીજાંઓ શું ધારશે તેની ચિંતા વાત કરતી વખતે ઓછી હોય છે; તેઓ મોટે ભાગે બીજાંએની વાત કરતાં હોય છે. બહારનું બંધન ઓછામાં ઓછું હોવાથી તેઓ વધારેમાં વધારે છૂટાં થાય છે. તેમની વાણી ઘણી વાર શિષ્ટતાની પરવા નથી રાખતી. આથી તેઓ ઘણેખરે ભાગે જેવાં હોય છે તેવાં જ વાણીમાં દેખાય છે.

ઘરના માણસોમાંથી યે જ્યારે મોટાં બાળકો અને બીજાં નાનાંમોટાં દૂર હોય છે, ત્યારે સ્ત્રીપુરુષની વાણી જુદા પ્રકારનું સ્વરૂપ લે છે. આ વખતે તેઓ પોતાની ખરી ખાનદાની કે જંગલીપણું વાણી દ્વારા પણ પ્રગટ કરે છે. આ વખતે તેમને કોઇની ભીતિ નથી. તેમને ‘આમ કહેવાશે’ તેવો વિચાર સરખો પણ નથી હોતો. તે મનગમતું, મનમાં આવતું ફેંકે છે. અતિ મીઠી વાણી પણ આ એકાંતને પ્રસંગે વપરાય છે ને કડવામાં કડવી વાણી માટે પણ આ જ પ્રસંગ છે.