લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


બીજી આવૃત્તિનું નિવેદન

પ્રસ્તુત પુસ્તક મુ. સ્વ. શ્રી ગિજુભાઇના શિક્ષણવિષયક પુસ્તકોમાંનું એક છે. શ્રીદક્ષિણામૂર્તિ પ્રકાશનમંદિર બંધ થવાની સાથે જ કેટલાંએક પુસ્તકો અપ્રાપ્ય થઈ ગયાં તેમાંનું આ એક છે. હવે, અમે એવો વિચાર કર્યો છે કે મુ. સ્વ શ્રી ગિજુભાઈનાં શિક્ષણવિષયક તથા શિક્ષકો તેમ જ માબાપોને ઉપયોગી એવાં બધાં પુસ્તકનું ધીમેધીમે પુનર્મુદ્રણ કરવું.

જે જમાનામાં આ પુસ્તક લખાયું તેમાં અને આજના જમાનામાં બાળકો સાથે વર્તન કરવાની દૃષ્ટિમાં હજુ બહુ કાંઈ મોટો ફેર પડ્યો હોય તેમ લાગતું નથી. શિક્ષણવિષયક ચર્ચાઓ ઘણી થતી હશે તેમ જ નવાં પુસ્તકો પણ લખાતાં હશે. પણ માબાપોને તેમનાં રોજિંદા જીવનવ્યવહારમાં બાળકો સાથે કામ પાડવા અંગેની સરળ અને સચોટ શૈલીમાં અપાયેલાં સૂચનોની પુસ્તિકાઓ હજી સુધી બહાર પડેલી જોઈ નથી.

માનસશાસ્ત્રની અઘરી જડબાતોડ પુસ્તિકાઓમાંથી સામાન્ય જનતા કશું સુચોટ માર્ગદર્શન ન મેળવી શકે. બાળકની અનેકવિધ વર્તણૂકોની સાથે કામ પાડવાની બાબતમાં માબાપો પાસે સ્પષ્ટ અને મુદ્દાસરની સૂચનાઓ આપેલી પુસ્તિકાઓ હોવી જોઇએ; અને એમાં પણ પ્રસંગો, ભાષા અને લખાણની શૈલીમાં લોકભોગ્ય અને હૃદયંગમ પદ્ધતિમાં રજૂ કરવાનું કામ મારી નમ્ર માન્યતા મુજબ મુ. સ્વ. શ્રી ગિજુભાઈ સિવાય બીજા કોઇએ કર્યું જાણ્યું નથી.

આજની આપણા દેશની સર્વતોમુખી પુનર્‌રચનામાં આવાં પુસ્તકો જનસમાજને ખૂબ જ ઉપકારક થઈ શકે તેવી સ્પષ્ટ સમજણ સાથે આ પુસ્તક બહાર પાડવાની જરૂરિયાત જોઉં છું. આશા છે કે મારી આ ઇચ્છા પૂર્ણ થશે.

માર્ચ, ૧૯૫૬ નરેન્દ્ર બધેકા