પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૧
વીર સાધ્વી જોન ઑફ આર્ક

મન તેની વાણીથી વિરુદ્ધ જતું હતું. પછી તે અત્યંત આતુરતાથી બોલી :– “અરે તે દિવસ ક્યારે આવશે ?” જોનનો પિતા આશ્ચર્યચકિત થયો, અને બોલ્યો :–

“શું આવા સરસ યોદ્ધાઓ અને આવી કીર્તિ મૂકીને એક નાના ગામડામાં રાજકુંવરો અને સરદારોના સંગવગર તું એકલી રહીશ ?”

જોને હસતે મોંએ કહ્યું :– “આ લડાઈઓ લડવાનો અને કેર વર્તાવવાનો મારો સ્વભાવ ન હતો, અને નથી. જ્યારે અમારા પક્ષનો કે સામા પક્ષનો કોઈ સિપાઈ ઘવાતો ત્યારે તેને જેટલું દુઃખ થતું, એટલું જ મને થતું. હું તે સિપાઇનાં પિતામાતા તથા બાળબચ્ચાંનો વિચાર કરતી. હવે મારૂં કાર્ય પરિપૂર્ણ થયું છે, ત્યારે પછી શામાટે તે દુઃખમાં રીબાવાનું પસંદ કરૂં ? મારા ગામડામાં મને શુ દુઃખ છે ? મારી મા બિચારી મને સંભારતી હશે.”

“ અરે ! તારી મા ? તે બિચારી તો આખો દિવસ ચિંતાજ કર્યા કરે છે. તે ખાતી નથી, પીતી નથી. જ્યારે તોફાન ગાજતું હોય ત્યારે તે કહે છે કે ‘અરે ! મારી દીકરી ગરીબ સિપાઈઓ સાથે ભીની જમીન ઉપર સૂતી હશે.’ જ્યારે વિજળી ઝબકે અને ગડગડાટ થાય ત્યારે તે બોલે છે : ‘આવાજ તોપના ગોળા સામે તે ઝઝુમતી હશે. તેનું રક્ષણ કરવા હું તેની પાસે નથી. પ્રભુ ! પ્રભુ ! દયા કરો ! મારી અનાથ દીકરીને બચાવો.’ જ્યારે પણ વિજયના સમાચાર મળે છે ત્યારે તે પહેલાં તપાસ કરે છે કે તું સહીસલામત છે કે નહિ ! પછી તે પગે લાગે છે, અને પ્રભુની પ્રાર્થના કર્યા કરે છે. વારેઘડીએ તે કહે છે કે ‘હવે બધું પૂરું થઈ ગયુ છે – હવે ફ્રાન્સ સ્વતંત્ર થયું છે; હવે મારી દીકરી ઘેર આવશે.’ વળી વારંવાર તે નિરાશ પણ થઈ જાય છે, અને રોયા કરે છે.”

“પિતાશ્રી ! મહેરબાની કરી આ વાત મારી આગળ ન કાઢો; મારૂં હૃદય ચીરાઈ જાય છે. ઘેર આવી હું તેની એવી સેવા કરીશ – તેને ઉની આંચ નહિ આવવા દઉં —” ગદ્‌ગદ્‌ કંઠે તે બોલી – વધુ તેનાથી ન બોલાયું.

ત્યારપછી તેના પિતાએ કહ્યું :– “બાપુ ! એ તો સાચી વાત, પણ રાજા તને નહિ આવવા દે તો ? તેનો બધો આધાર તારા ઉપરજ છે. જો તને તે રજા ન આપે તો ?”

જોન મુંઝાઇ, થોડી વાર પછી સંતોષ ધરતી હોય તેમ બોલી :–