પૃષ્ઠ:Narmad Lekhan.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ્યાંસુધી સ્ત્રીઓના ઉપરથી ધિક્કાર ખસ્યો નથી, જ્યાં સુધી જેમ આપણામાં પૂર્વે સ્ત્રીઓનાં માન હતાં ને હાલના સુધરેલા દેશોમાં છે તેમ આપણી સ્ત્રીઓ પુરુષથી માન નહીં પામે ત્યાંસુધી તે બિચારીઓ તથા આપણે પણ સંસારના ઊંચા લહાવા લઈ શકવાના નથી. જ્યારે સ્ત્રી વિનાનું ઘર નહીં ને સ્ત્રીથી સઘળાં સુખ ત્યારે એને કેમ ન કેળવણી આપવી? જે કેળવણીથી તેના સદગુણને પુષ્ટિ મળે ને સદાચરણ દ્રઢ થાય, જે કેળવણીથી દેશસુધારાના કામમાં આગળ પડીને યશ મેળવતી થાય તે ટૂંકામાં જે કેળવણીથી તે અહીંનાં ને તહીંનાં ઊંચી જાતનાં સુખ ભોગવે તે કેળવણી અભાગી અબળાને સુહાગી સબળા કરે તેવો દહાડો ઈશ્વરની કૃપાથી અને આપણા પરિશ્રમ તથા ઉત્તેજનથી વહેલો આવો.