પૃષ્ઠ:Pankhadio.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'ત્ય્હારે અમે બે હતાં - હું ને બાપૂઃ એકલવાયી તો આજ છું. દુનિયા ત્ય્હારે ભરી ભરી ભાસતીઃ વગડો તો મ્હારે અત્ય્હારે થયો. સંન્યાસી એ કહ્યું ત્રિદોષ છે. બાપૂ બોલતા'તાઃ 'ઉગારો, ઉગારોઃ એ જ્હાજને ઉગારો.'ચ્‍હડ્યાં શીત બાપૂને ઉતર્યાં જ નહિ. એ કાળજ્વર હતો. એ ટાઢ જમની દૂતી હતી, ત્ય્હાંથી તેડવાને આવી'તી.'

હૈયે હાથ મૂકીને એક ઘૂંટડો એ ગળી ગઈ. પછી પાછી દુનિયાને જોઈ રહી.

'હજી તો વધશે તોફાનના વાયુ.'

સંસારનો ને સાગરનો પગથાર સૂની નજરે નિહાળતી ધરતીને છેડે એ ઉભી હતી. પુષ્કરાવર્તક મેઘ આજ આભમાં ઉભરાતા, તાંડવના મૃદંગ સમું અન્તરિક્ષ ઘોરમતું. દરિયા ઉપર જળનાં વન જામ્યાં હતાં. મહાવાયુમાં વનઝાડીઓ ઝોલાં ખાય એવાં જળઝાડીઓનાં ઝુંડ ઝોલાં ખાતાં.

'સંન્યાસી મહારાજે ભાખી'તી એ આજની વિજનતા સાચી. આજ હું એકલી છું. આ સહિયરો નથી નાચતી સાગર ઉપરઃ એ તો ખપ્પર ઉછાળતી ડાક્કણીઓ નાચે છે.'

દુનિયાને આરે એ ઉભી હેતી. જગતની ભમ્મર જેવી કાળી કાળમીટની ભેખડ નીચે પાંપણ જેવી વેરાયેલી ખડકાવલિ વિખરાતી પડી હતી. એ ભમ્મરમાં ને એ પાંપાણોમાં આજ કાળચક્ર ઘૂમતાં હતા, જગતડૂબવતા ઘોર વમળ ઘૂમડીઓ ખાતા હતા.

૧૫૮