મશાલ વખતે જોગીદાસે રાજુલું ઘેર્યું. પણ ગામમાં ગરાય નહિ. ચારે દરવાજા ઉપર માણસ. બંદૂકાની નાળ્યું છૂટે છે.
કુબલીઆ પા માં ભેરાઈ દરવાજે ઉમર સામેડો સપાઈ ૩૫ માણસે : ડુંગરના રસ્તા માથે મામદ જમાદારનું થાણું : વડલીને ઝાંપે પણ પાકો બંદોબસ્ત.
એટલે આરબ જમાદારે કહ્યું : ‘તો રાજલીઆના ગાળામાંથી ગરીએ.’
પોતે છ જણા ચાલ્યા. એમાં એ ઠેકાણે ચોકીદાર મસૂત સીદી હોકો પીતો બેઠો છે, પગરખાંના ખડખડાટ સાંભળીને મસૂત ઊભો થયો.
‘મસૂત ! તું ખસી જા.’ બહારવટીઆએ હાક મારી.
મસૂતે જવાબ વાળ્ળ્યો : ‘ખસ્યાં ખસ્યાં ! એમ શું ભાવનગરનાં નગારાં ઊંધા વળી ગ્યાં છે !’
‘ના, ભાવનગરનાં આબાદ, પણ તારાં અવળાં !’
તો પણ મસૂત ન ભાગ્યો, એને બંદૂક લાગી. પડતે પડતે એણે હાકલો કર્યો : ‘રાજુલા ! હુશીઆર !’
આરબો ગામમાં પેઠા. બજારે ચાલ્યા. ચોરા માથે ભાયોથી ધાંખડો. આઠ માણસે ઊઠ્યો. પણ આરબોએ બે ચંભા કર્યા, આઠેને ઉપાડી લીધા. ગામમાં ચાહકા થવા લાગ્યા.
એજ ટાણે એક લગન હતાં. મામદ જમાદારનો ભાઇ પિયારો જમાદાર માંડવામાં વરરાજા વેશે તૈયાર બેઠો હતો ત્યાંથી દોડ્યો.
ચોકમાં આવ્યો ત્યાં આરબોએ દીઠો : ‘અરેરે ! આ તો પિયારો આવે છે ! માથે મોડ છે. એને પકડી લ્યો.’
ચારે આરબોએ ઢાલો આડી રાખીને દોટ દીધી. પિયારાને બથમાં લઈને ઉપાડ્યો. હાદા સોનીના હાટમાં પૂરી દીધો.
ત્યાં પિયારાથી નાનેરો ફકીરમામદ દોડ્યો આવે. એણે ભાઈને