લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪ ✽ પિતામહ
 

શકાતી હતી.

‘હું શું કરું મહારાજ !’ મંત્રી ઉપસ્થિત થતાં મત્સ્યગંધા દર્દભર્યાં સ્વરે બોલી રહી. ‘બાપની મંજૂરી વિના તો હું કાંઈ પણ કરી શકું નહિ.’ પછી અશ્રુધારા વહાવતાં ગદ્‌ગદ કંઠે કહી રહી, ‘જેવા મારાં નસીબ ! બીજું શું કહું ?’ ને ઉમેર્યું, ‘બાપની મરજીની અવગણના પણ કેમ થાય ? આખરે મારા પિતા છે ને?’

મત્સ્યગંધાના સૌંદર્ય મઢ્યા દેહપર નજર પડતાં મંત્રી પણ સ્તબ્બ બન્યો. માછીમારની દીકરીને આવા સૌંદર્યથી મઢી દેવા માટે તે ભગવાનને ઠપકાવતો હતા, જે સૌંદર્ય સાચવી શકાય તેમ નથી, તડકામાં, નદીનાં પાણીમાં જ જેને જીવન જીવવાનું છે, તેના દેહને આવા અનુપમ સૌંદર્યથી મઢવાની ભૂલ કેમ કરી હશે? તે સ્વગત બબડયો ! થોડા વખતમાં જ સખ્ત તાપમાં કામ કરતા આ સૌંદર્ય ઝંખવાઈ જશે ને દેહ કાળા ધાબાથી ભરાઈ જશે.

‘પણ મહારાજને મોહ પમાડે તેવી તો છે જ, મત્સ્યગંધા.’ તે સ્વગત બબડ્યો.

મંત્રી નિરુત્તર સ્તબ્ધ ગંભીરતા ધારણ કરીને ઊભો હતો. મત્સ્યગંધા પણ પોતાની લાચારી વ્યક્ત કરી રહી હતી. આખરે તેણે મંત્રીને પૂછ્યું, ‘પ્રેમ દેવતાની ઉપાસના ભોગ માગે છે. ત્યાગ વિના ઉપાસના સિદ્ધ થઈ શકતી નથી એટલું મહારાજને કહેજો.’

‘પણ મહારાજ તેમના વડા પુત્ર દેવવ્રતના હક્કની અવગણના પણ કેમ કરી શકે?’ મંત્રીએ દલીલ કરતાં કહ્યું, ‘આ પ્રશ્ન જ બન્ને પ્રેમીઓનાં મિલનમાં અંતરાયભૂત છે. બીજી ગમે તેવી માગણીનો જવાબ આપી શકાય, પણ આ માગણીનો સ્વીકાર શકય નથી.’ ને ઉમેર્યું, ‘તમે તમારા બાપને કેમ સમજાવતાં નથી ? તમે પણ મહારાજાની જેમ વ્યથિત તો હશો જ ને?’

‘હા, વ્યથા જરૂર છે પણ પિતાજીની વાત પણ સાચી છે. પિતા તરીકે તેમની દીકરીના ભાવિની સલામતિની ઇચ્છા તો કરે