પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
104
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

બાવળ ને ઝાડ જ બિયાં, વાધે નીર વન્યા,
કેળ્યું કોળે ના, પાણી વણ્યાની, પોરહા !

[અરે હે પોરસ વાળા, બાવળ જેવાં બળવાન અને કઠોર ઝાડ તો પાણી વિના ઊઝરે. પણ કેળ જેવી કોમળ વનસ્પતિને તો અતિશય પાણીનું સિંચન જોઈએ. એવી રીતે અન્ય અનેક જોરાવર હૃદયનાં માનવી પ્રેમ સિવાય જીવી શકે, પણ હું કેળ જેવો કોમળ હૃદયનો જીવ. મારી સ્ત્રી વગર શી રીતે જીવું? અથવા તો – ]

વવારીએં વાળા, તળિયે ટાઢક જોય,
(પણ) કેળ્યું કોળે ના, પાણી વણની, પોરહા !

[હે વાળા દરબાર, તું કહે છે કે હું ફરી વાર પરણું. મારા સ્નેહરૂપી ઝાડને તું કાંઈ ટાઢું પાણીવાળું તળ જોઈને એટલે કે કોઈ સ્નેહભર્યું પાત્ર જોઈને, રોપવા માગે છે. પણ હે બાપ, મારો સ્નેહ તો કેળના રોપા સરીખો કોમળ છે. એને ઉપરથી પાણીના સિંચન વિના કોળાવી નહિ શકાય. એનો તો મરનાર એ ચારણીનું જ પ્રેમજળ પીવા જોઈએ.]

સૂતલ સખ કરે, કણકણ કુંજાં જી,
માર્યું મધરાતે, પાદર તારે, પોરહા !

[હે પોરસા વાળા, કુંજ પક્ષીઓની રીત છે કે રાતે ક્યાંઈક આખું વૃંદ ઓથ ગોતી આરામ કરે અને ચાર કુંજડાં વારાફરતી ચોકી રાખે. સૂતાં સૂતાં કુંજડા લહેરથી ઝીણું ઝીણું કણક્યા કરે. આવી લહેરથી મારું હૃદય-પક્ષી પણ પોઢ્યું હતું. ત્યાં તો બરાબર મધરાતની ભરનિદ્રામાં શિકારીએ માર્યું.]

વાછરડું, વાળા, ભાંભરતું ભળાય,
(પણ) થર આતમ નો થાય, પરસ્યા વણનો, પોરહા !

[હે પોરસા વાળા, ગાય પોતાના વાછરડાને પોતાની સન્મુખ જ બાંધેલું જોતી હોય, છતાં પણ એને પોતાની જીભથી સ્પર્શ કર્યા વગર માતાનો જીવ ઠરતો નથી, તેમ મારા હૃદયને પણ મારી પ્રિયાના સ્મરણમાત્રથી જ શાંતિ નથી વળતી.]

ઊડી મન આંબર ચડે, ચકલાં જીં સદાય,
કફરી રાત કળાય. પો’ ન ફાટે, પોરહા !