પૃષ્ઠ:Rutugeeto.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નિવેદન

લોકસાહિત્ય અને ચારણી સાહિત્યને માત્ર ૨ંજનની વસ્તુ ન રહેવા દેતાં અભ્યાસ – રસની નક્કર ભૂમિકા પર મૂકવાના હમેશાં યથાશક્તિ પ્રયત્નો થતા જ આવે છે.

‘ઋતુગીતો’ એ અભ્યાસને માર્ગે એક ડગલું આગળ માંડે છે. સાહિત્યક્ષેત્રમાં સર્વદેશીયત્વ અને વિવેકની વાટ દેખાડતા ઊભેલા શ્રી રામનારાયણ પાઠક, વિજયરાય વૈદ્ય, રસિકલાલ પરીખ, ધૂમકેતુ, પરમાનંદ કાપડિયા આદિ મિત્રોની સહાયનો લાભ ઉઠાવ્યો છે. તેઓનો હું ઋણી છું.

ચારણી ગીતો બદલ કવિરાજ પીંગળશીભાઈ, ઠારણભાઈ દુલા ભગત વગેરેનો આભાર માનું છું. તેઓની સહાય છતાં કેટલેક ઠેકાણે અર્થ સમજાયા નથી.

સ્ત્રીઓનાં ઋતુગીતો રઢિયાળી રાત ભા. ૩ માં અલાયદાં મૂકાઈ ગયાં છે, તેથી તેની પુનરુક્તિ અત્રે નથી કરી.

૧૯૮૫ : આષાઢ વદ ૧૦
સંપાદક
 


બીજી આવૃત્તિ વેળા

લોકસાહિત્ય અને ચારણી સાહિત્યના એક વિશિષ્ટ પ્રકાર લેખે ગોઠવીને આ સામગ્રી ત્રણ વર્ષો પરે બહાર મૂકેલી. આજે તો લોકસાહિત્ય યુનિવર્સિટીના અભ્યાસક્રમ સુધી પહોંચી ગયું હોઈ હવે આવા સંગ્રહોની જરૂર પડશે.

બોટાદ : ૧૯૪૬
ઝ. મે.