પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પવનની લહેરો શીતળ તથા રમણીય થઈ ઉન્હાળાની દુ:સહતાને મનેહરપુરીમાંથી દૂર કરતી. ઉત્તરમાં સુંદરગિરિ નામના ન્હાના પણ સુંદર પર્વતને આરંભ થતો. બીજી બે પાસ મ્હોટાં વન હતાં, પૂર્વમાં આંબાનાં વન, અતિ વિસ્તારી અસંખ્ય વડની ઘટાઓ, શેરડીનાં ખેતર ઈત્યાદિથી આ ન્હાના ગામડાની દૃષ્ટિસીમાં રોકાઈ ગઈ હતી. ઉંચાં અને લીલાંસૂકાં તાડનાં વન દક્ષિણ દિશામાં સુંદરતાની ધજાઓ પઠે ફરકતાં હતાં અને તેમનાં લાંબાં તથા ફાટયાંત્રુટયાં પાંદડાં પટાવાળા ધ્વજપટથી જુદી જાતનાં ન હતાં. ભદ્રાનદીની સુભદ્રા નામની શાખા પૂર્વમાંથી દક્ષિણમાં આવી વાંકીચુકી ગતિથી ચાલતી સર્વ વનોમાંનાં પાંદડાં તથા ફળપુષ્પોને પોતાની છાતી ઉપર વ્હેતી વ્હેતી મંદ પણ સ્થિર ઝીણો સુસ્વર કરતી કરતી તાડના મૂળ આગળ આવી સમુદ્રમાં ભળતી હતી. આ નદીને લીધે તાડના વનમાં બીજી વનસ્પતિ પણ ગુંથાઈ ગઈ હતી, ચૈત્રના શુકલપક્ષના આ સમયમાં ઉતરતા વસંત તથા આવતા ગ્રીષ્મનો સંધિ થતો હતો તે પ્રસંગે સુરંગિત મ્હોર તથા સુવાસિત કેરિયોથી ઉભરાતું આંબાનું વન અને ભરતી પામતો સમુદ્ર મનોહરપુરીની પૂર્વ પશ્ચિમમાં સુંદરતાના ત્રાજવામાં તોળાતાં હતાં.

આંબાના વન અને તાડના વનને જુદાં પાડી સુવર્ણપુરથી નીકળતો રસ્તો નદીની પેઠે ઉભય પાસનાં વનના તટ વચ્ચે વ્હેતો હતો અને મનોહરપુરી ભણી વળતો હતો.

ચારેપાસનાં વનોમાં સંતાઈ રહેલી સંધ્યાકાળે જ્યારે, ભય માત્ર તજી બહાર નીકળી પડી, ગોળ સૂર્યને તાડના વનની પાછળ ગરબડાવી પાડ્યો અને તે જાતિનું તેજ અસ્ત થતું થતું પણ ઉંચાં તાડના શિખર ઉપર ટકી રહેલું દેખાયું ત્યારે સંધ્યાકાળે શીતળ કરી દીઘેલા રસ્તા ઉપર રગશિયું ગાડું ઘસડાતું હતું અને વિશ્રામસ્થાન પાસે આવ્યું જાણી થાકેલા બળદને જોર આવતું હતું, જે ગાડામાં બેસી સરસ્વતીચંદ્ર નીકળ્યો હતો તે જ આ ગાડું હતું. ગાડાવાળો એને એ જ હતો, પણ અંદર સરસ્વતીચંદ્ર અથવા એના સાથમાંનું કોઈ પણ માણસ ન હતું. ગાડાની સાથે ચાલનારે દંડી સંન્યાસી માત્ર અંદર ચ્હડી બેઠો હતો. બનેલા બનાવ ન સમજનાર બળદને માથે માત્ર આ બે જણનો જ ભાર હતો.

ગાડાવાળો અને સંન્યાસી ગમત કરતા ગપાટા મારતા હતા અને