પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨


“આ યુગની ગતિ આવી પ્રારબ્ધ છે તે અંત સુધી જશે. ઈંગ્રેજ રાજનીતિ એ યુગના પ્રવાહને સમજી નવા કાળ રચે છે અને નવા કાળ રચશે, એ આપણું પ્રારબ્ધ. એ કાળ-સમુદ્રનું મોજું આવે તેના વેગને ન સમજતાં, એ વેગને વશ કરવાને સ્થાને તેના ધક્કાથી ડુબી જઈશું તો એ આપણું દુર્ભાગ્ય આપણે હાથે રચાશે એ મોજું ગમે એવું વેગવાળું, બળવાળું, અને મ્હોટું હશે તોપણ તેના પાણીથી સ્નાન કરી લેઈ તેની નીચે અથવા તેનો ઉપર સ્થિરતાથી અને ધૈર્યથી ટકી રહેવાની ને તરવાની કળા આપણને આવડશે તો એ આપણો પુરુષપ્રયત્ન થશે, અને તેને સફળ કરવો એ ઇશ્વરેચ્છાની વાત છે. એ બેમાંથી કીયું પરિણામ થશે તેની કલ્પના માણસ કરી શકે એમ નથી. એ કલ્પનાનો સટે એક જ વર્તારો માણસ કરી શકે અને તે પ્રમાણે શ્રદ્ધા રાખે તો Free will નો સંપ્રદાય છોડી સર્વ પ્રારબ્ધવાદી થશે અને પુરુષપ્રયત્ન ત્યજશે, તેવા વર્તારા કરવામાં અધર્મ નથી પણ તે પર શ્રદ્ધા રાખવી એ આપણો ધર્મ નથી. એવા એકજ વર્તારા ઉપર શ્રદ્ધા રાખવા કરતાં,એવા અનેક વર્તારાઓમાંથી જે આપણને સાધ્ય અને કલ્યાણકર લાગે તેનાં સાધન પાછળ, અને બીજા વર્તારાઓના પ્રતીકાર પાછળ, પુ રુ ષ પ્ર ય ત્ન કરવો એજ આપણો એક ધર્મ છે, એજ ધર્મ વ્યવહાર્ય છે. વ્યાપાર તેમ રાજનીતિના વ્યવહાર આવા ધર્મને આધારે ચાલે છે उत्थानेन सदा वत्स प्रयतेथा युधिष्ठिर એ શાંતિ પર્વના રાજધર્મના ઉત્થાનધર્મને રાજાઓનો નિત્યધર્મ કહેલો છે તે ઉત્થાનને – પુરુષપ્રયત્નને – પ્રારબધશ્રદ્ધાના આઘાતથી અનિત્ય ન થવા દેવો એજ રાજાઓનો શુદ્ધ ધર્મ છે – ધર્મ્ય વ્યવહાર છે – કાળબળના સામા પણ રાજાઓનો એજ ઉત્થાનધર્મ મિત્રરૂપ છે.”

“તમે ચાર જણાએ ચાર જુદા જુદા વર્તારા વર્યા તેમાંના બે આશાદર્શી અને બે નૈરાશ્યદર્શી છે તે સર્વ વર્તારાઓનો ઉપયોગ કરવો એ રાજનીતિજ્ઞ પુરુષનો ધર્મ છે, એ ચારે વર્તારાઓ જે વર્તમાન દશાઓને દેખી બંધાયા છે તે સર્વે દશાઓમાં સત્યનો અંશ છે અને अन्धहस्तिन्याय પ્રમાણે જે અંશ એક પુરુષ જુવે છે તે બીજાની દૃષ્ટિએ પડ્યા નથી. આશા અને નૈરાશ્ય એક ઢાલની બે બાજુઓ છે; સુવર્ણમયી આશા જોનાર પ્રવીણદાસ અને શંકરશર્મા એક પાસ ઉભા છે, લોહમય નૈરાશ્ય જોનાર વીરરાવજી અને ચંદ્રકાંત બીજી પાસ ઉભા છે. એમની દૃષ્ટિઓમાં ઇંગ્રેજ રાજનીતિનું પ્રતિબિમ્બ પડેલું છે.

“ The British Empire exists as a system of both Hopes and Fears for the Native States as for all