પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૩
યરવડા જેલમાં ગાંધીજીની સાથે

આફ્રિકામાં એક સત્યાગ્રહ સભા (પૅસિવ રિઝિસ્ટન્સ ઍસોસિયેશન) હતી અને એક ટ્રાન્સવાલ ઈન્ડિયન ઍસોસિયેશન હતી એમ.”

વલ્લભભાઈ કહે : “આજે હરિજનનું કામ કરનારા અને જેલમાં જનારા એવા બે ભાગ પાડ્યા છે ને એમ.”

તા. ૨૮-૩-’૩૩ : લેડી ઠાકરસીનું ત્રણ ચાર હજારનું ટેલિસ્કૉપ આવ્યું. એના સ્ટૅન્ડને ઉપાડવાને આઠ માણસની જરૂર પડી.

બાપુ કહે : “હવે એ રાખી લેવાની દાનત થાય છે. આશ્રમમાં ઑબ્ઝર્વેટરી કરી શકાય. છૂટ્યા પછી પાંચેક વર્ષ જીવીએ તો બધું થાય.”

એટલે હજી દશ વર્ષ જીવવાની વાતો છે. વલ્લભભાઈ : “અરે ભાઈ, ઑબ્ઝર્વેટરી માટે તો આજે પણ છોડે. સાથે હરિજનનું ભેળવજો. અને બીજું કશું ન કરતા હો તો જાઓને આજે જ જાઓ, એમ કહે છે છતાં તમે ક્યાં માનો છો ?”

તા. ૮-૪-’૩૩ : “મુસલમાનો શાંત બેઠા છે અને કશું બોલતા નથી. સરકારને બરોબર સહકાર આપી રહ્યા છે અને આપવાના,” એમ વલ્લભભાઈએ કહ્યું.

એટલે બાપુ કહે : “જ્યાં સુધી મુસલમાનો દેશના હિતમાં પોતાનું હિત ન જુએ ત્યાં સુધી હિંદુમુસલમાન ઐક્ય થવાનું નથી અને માલવીજીના બધા પ્રયત્ન ફોગટ જવાના છે. આજે મુસલમાનમાં એ લાગણી નથી. આજે તેઓને સ્વાર્થ સાધવો છે.

તા. ૨૧-૪-’૩૩ : સાંજે સરદારને સિવિલ સર્જન જોઈ ગયા. ખૂબ તપાસ્યા. અભિપ્રાય એ થયો કે ‘કોટેરાઈઝ’ કરવામાં લાભ નથી. ઑપરેશનથી કદાચ ફાયદો થાય. જોકે ચોક્કસ ન કહેવાય. પણ અહીં હવે લાંબી વૅકેશન જેવું છે તો ઑપરેશન કરાવવું એ ઠીક હોય.

બાપુ કહે: “ઠંડક જોઈએ અને ધૂળ ન જોઈએ. એને માટે દરિયાની સફરના જેવો બીજો એક ઉપાય નથી.”

એટલે વલ્લભભાઈ કહે: “એના કરતાં તો હું અહીં સુખશાંતિથી મરું નહીં ?”

દાક્તર : “આટલા નિરાશ થવાની કશી જરૂર નથી.”

બાપુ : “લો ત્યારે અમે ઠરાવ કરીએ કે તમારે દરિયાની સફરે જવું.”

વલ્લભભાઈ : “મેં પેલાને જે જવાબ આપ્યો તે જાણો છો ?” એમ કહીને જવાબ સંભળાવ્યો.

બાપુ : “પણ વહાણ ઉપર પણ ધૂળ તો ખૂબ જ હોય. કોલસાની રજ તો પાર વગરની હોય છે. અમે રંગૂન ગયા ત્યારે અમારાં કપડાં અને સરસામાન કાળાં કાળાં થઈ ગયેલાં.”

સરદાર : “એ તમારા જેવા ડેક ઉપર મુસાફરી કરનારને એમ થાય. અમે તમારા જેવા ડેક ઉપર મુસાફરી કરનારા નહીં. અમે તો હંમેશાં સલૂનમાં જ જનારા. અમને કદી ધૂળ નથી લાગી.”

બાપુ: “ભાઈ, સલૂનમાં પણ લાગે છે. આખો દિવસ માણસ સાફ કર્યાં જ કરતો હોય છે.”