પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
૨૮
સરદાર વલ્લભભાઈ


"એટલે રાસે પગલું ભર્યું છે, તે ઉપર કાયમ રહેવા પૂરતી એ આત્મશુદ્ધિ કરે, ત્યાગ કેળવે, જે બીજા ગામો રાસનું અનુકરણ કરવા ઇચ્છે છે તે શાંતપણે પોતાની શક્તિનું માપ કાઢે.

“બાકી જે જિલ્લામાંથી સરદારને લઈ ગયા, જે જિલ્લામાંથી દરબારને લઈ ગયા, જે મોહનલાલ પંડ્યા અને રવિશંકરનું નિવાસસ્થાન છે, એ જિલ્લો જેટલું કરે તેટલું ઓછું છે.”

તા. છઠ્ઠી એપ્રિલથી નિમકનો કાયદો તોડવાનો કાર્યક્રમ શરૂ થયો. દરેક પ્રાંતની જેલો સત્યાગ્રહી કેદીઓથી ભરાઈ જવા લાગી. એટલે સરકારે હવે કાયદાનો ભંગ કરનારને પકડવાને બદલે મારઝૂડ કરવાની નવી નીતિ અપનાવી. એકઠા થયેલા લોકોની સંખ્યા સહેજ વધારે હોય ત્યાં લાઠીનો ઉપયોગ છૂટથી અને ઘાતકી રીતે કરવામાં આવતો હતો. પેશાવરમાં અને બીજે કેટલેક સ્થળે તો સત્યાગ્રહીઓ ઉપર ગોળીબાર પણ થયા હતા. એટલે સરકારની વધારેમાં વધારે ખફગી પોતાના ઉપર વહોરી લેવા માટે ગાંધીજીએ ધરાસણાના મીઠાના અગર ઉપર હુમલો લઈ જવાની યોજના કરી. પોતાની એ યોજનાની ખબર આપતો કાગળ વાઈસરૉયને લખ્યો તેમાં તેમણે જણાવ્યું :

"આ પગલું લેવાનો નિર્ણચ મેં કશો આંચકો ખાધા વિના કર્યો છે એમ નથી. મેં આશા રાખી હતી કે સરકાર સત્યાગ્રહીઓ સાથે સભ્યતાપૂર્વક લડશે. સત્યાગ્રહીઓને પહોંચી વળવા સાધારણ રીતે પ્રચલિત છે તે કાયદાનો અમલ કરીને સરકારે સંતોષ માન્યો હોત તો મારે કંઈ કહેવાપણું નહોતું. તેને બદલે જાણીતા આગેવાનો સાથે વધતેઓછે અંશે કાયદા મુજબનો વર્તાવ ચલાવીને બીજા સાધારણ સત્યાગ્રહીઓ પ્રત્યે તો જંગલી અને કેટલીક વાર બીભત્સ અત્યાચારો કરવામાં આવ્યા છે. આવું છૂટુંછવાયું બન્યું હોત તો તો જોયું ન જોયું કરી શકાય. પરંતુ મારી પાસે તો બંગાળ, બિહાર, ઉત્કલ, યુક્ત પ્રાંત, દિલ્હી અને મુંબઈથી ખબરો આવી છે, જે ગુજરાતમાં મળેલા અનુભવોનું સમર્થન કરે છે. અને ગુજરાત વિષે તો મારી પાસે પાર વિનાનો પુરાવો પડેલો છે. કરાંચી, પેશાવર તથા મદ્રાસમાં વિના કારણ અને વિના ઉશ્કેરણી ગોળીબાર થયેલા જણાય છે. સરકારની દૃષ્ટિએ કિંમત વિનાનું અને સત્યાગ્રહીની દૃષ્ટિએ ભારે કિંમતી એવું મીઠું સ્વયંસેવકો પાસેથી ઝૂંટવી લેવા માટે તેમનાં હાડકાં ભાંગવામાં આવ્યાં છે અને ગુહ્ય ભાગો દબાવવામાં આવ્યા છે.



"તેથી ત્રાસ વર્તાવી ધાક બેસાડી દેવાની અત્યારે શરૂ થયેલી નીતિનો અમલ આખા દેશને આવરી લે તે પહેલાં મને લાગે છે કે મારે વિશેષ ઉગ્ર પગલું લેવું અને આપના ક્રોધને વધારે જલદ પણ વધારે સાફ માર્ગે વાળવો.