પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૨
સરદાર વલ્લભભાઈ

પણ પાસેથી તમને મદદ મળે તો તમે તે ભલે લો. પણ અમારો અવાજ તેમને પહોંચાડવા દો. અહિંસાપાલનની મર્યાદાની અંદર રહીને હિન્દુસ્તાનના લોકોને લડાઈના કામમાં ભાગ ન લેવાનું સમજાવવાની તમે અમને પૂરેપૂરી તક આપો એ તમારી શોભામાં વૃદ્ધિ કરનારું નીવડશે.”

કૉંગ્રેસની આ લડત કયા ચોક્કસ હેતુ માટે છે એ સમજાવતાં ગાંધીજીએ કહ્યું કે,

“આજે સંપૂર્ણ સ્વાતંત્ર્યને માટે સવિનય ભંગની વાત કરવી નકામી છે. જેની સ્વતંત્રતા આજે જાઉં જાઉં કરી રહી છે તેની સાથે સ્વતંત્રતા મેળવવા શું લડવું ? જો એક પ્રજા બીજી પ્રજાને સ્વતંત્રતા આપી શકતી હોય તોપણ અંગ્રેજો તો અત્યારે તે આપી શકે તેમ નથી. આજે તેઓ લડે છે એટલે તેમણે સૌનાં મોં બંધ કર્યા છે. કારણ કે તે માને છે કે આપણે સૌ તેને તાબે છીએ. હું તો નથી જ. કારણ હું તો જે ધારું તે કહું છું ને કરું છું. સૌને સારું એ હક મેળવવાને માટે લડાઈ કરવાનો આ ઠરાવ છે. એ હક આપવાની તેઓની શક્તિ છે. અને તે ન આપે અને એમની કફોડી રિથતિ થાય તો એને માટે આપણે જવાબદાર નથી.
“લડાઈ લડવાનો આ સ્પષ્ટ મુદ્દો છે. વાણીસ્વાતંત્ર્યનો હક એ આઝાદીનો પાયો છે. એ ન મળે તો આઝાદી મેળવવાનો મુખ્ય ઉપાય આપણે ખોઈ બેસીએ. એ નાની વસ્તુ નથી, એ મહત્ત્વની વસ્તુ છે. એ વસ્તુ મારી બુદ્ધિમાંથી નથી નીકળી. હું જ્યારે મહા મૂંઝવણમાં હતો અને ઈશ્વરની પાસે રસ્તો સુઝાડવાનું માગતો હતો ત્યારે તેણે એ મને બતાવી છે.”

તા. ર૭મી તથા તા. ૩૦મી સપ્ટેમ્બરે ગાંધીજીએ વાઈસરૉયની મુલાકાત લીધી. તેને પરિણામે વાઈસરૉયે તા. ૩૦-૯-’૪૦ના રોજ ગાંધીજીને કાગળ લખ્યો. તેમાં જણાવ્યું કે,

“અતિશય ધ્યાન અને કાળજીથી તમારી દલીલો સાંભળી. અત્યારની પરિસ્થિતિની પણ આપણે સૂક્ષ્મ અને પૂરેપૂરી ચર્ચા કરી. તેને પરિણામે તમારી આગળ એમ સ્પષ્ટ કરવાની મારી ફરજ થઈ પડી છે કે તમે સૂચવો છે એવી છૂટ આપવાનું પગલું હિંદના યુદ્ધપ્રયત્નને અટકાવવામાં પરિણમે, એટલું જ નહીં પણ તેથી ગ્રેટબ્રિટનને લડાઈ ચલાવવાના કામમાં મૂંઝવણ ઊભી થયા વિના ન જ રહે. અને એ ટાળવાને તો કૉંગ્રેસ તેના પોતાના કહેવા મુજબ ખૂબ ઇંતેજાર છે. વળી તમે માગ્યું તેટલું વિશાળ વાણીસ્વાતંત્ર્ય આપવાથી યુદ્ધપયત્નમાં જે ખલેલ પડે તેમાં – ખાસ કરીને લડાઈની આજની મહા કટોકટીની ઘડીએ – સંમત થવું એ હિંદુસ્તાનના પોતાના હિતની દૃષ્ટિએ પણ અશક્ય છે એ દેખીતું છે.”

તે જ તારીખે ગાંધીજીએ તેમને જવાબ આપતાં જણાવ્યું કે,

“તમારા કાગળના છેલ્લા પેરા વિષે તો હું તમને ફરી યાદ અપાવવા ઇચ્છું છું કે, ન મૂંઝવવાના વલણને આત્મનાશની એટલે કે તમામ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓને