તેઓને ખરીદ કરવાને સદગૃહસ્થોને શરમાવે છે. અને વગ વસીલાને કામે લગાડે છે, એ કેળવણીના ફેલાવને તથા યોગ્ય ગ્રંથો પેદા થવામાં હાની કરનાર છે.
આ ચોપડીની આ બીજી આવૃત્તિમાં કેટલાંક નવાં પ્રકરણો ઉમેરી તથા થોડોક ફેરફાર કરી એને વધારે રસિક અને બોધકારક કરવાનો પ્રયત્ન કર્યો છે. મારી આ ધારણા કેટલે દરજ્જે ખરી છે એ હવે પછી જણાશે. એ વધારાને લીધે કિંમતમાં વધારો કરવો પડ્યો છે. કલ્પિત વારતાને રૂપે અનેક નાતોમાં ચાલતી સારી નઠારી રીતભાતો વગેરેને જાહેરમાં લાવી સારી હોય તેને વખાણવી અને માઠીને વખોડવી એ મારો હેતુ છે. કલ્પિત વાતો જોડનારાને એમ કરવાની હું વિનયપૂર્વક ભલામણ કરૂં છું. આપણા લોકમાં હજી સુધી બન્યા નથી અને હાલ બનતા નથી તેવા બનાવા કલ્પિને વર્ણવવા કરતાં એ પ્રમાણે કરવાથી વધારે ફાયદા થાય છે. જેજે હાલ થાય છે તેને શીખામણ આપે એવી કહાણીના રૂપમાં મુકીએ તે આપણા લોકના રદયને ભેદે છે, અને અસર કરે છે. એ રસિક લાગે માટે તેમાં મીઠાશ મુકતા આવડે તો લોકને વધારે પ્રિય લાગે છે, અને સુબોધક કરવાને તેમાં સુનીતિ આણ્યાથી ગુણકારી થાય. ઉત્તમ વર્ગના લખનારાને હાથે રચાયેલાં એવાં પુસ્તકો પ્રગટ થતાં રેવાને હું ઇચ્છું છું.