પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧


પ્રકરણ ૫ મું

મણિગવરીનો યત્ન

જે ચાકર સાથે નવાબની બેગમપર પત્રિકા મોકલાવી હતી, તે ચાકરને ત્રણ કલાક અથડાવું પડયું, બેગમ પોતાના મ્હેલમાં નહોતાં, તેથી નદી કિનારે આવેલા બક્ષીના મહેલમાં તે ગયો, ત્યાં કેટલીક પૂછપરછ કર્યા પછી એવી ખબર મળી કે, બેગમ સાહેબા હમણાં જ પોતાના મહેલે પધાર્યા છે. ચાકર પાછો નવાબને મહેલે આવ્યો. ત્યાં ચિઠ્ઠી આપી ત્યારે બેગમ, નવાબ સાહેબ સાથે જમવા બેઠાં હતાં. જમી ઊઠી ચિઠ્ઠી વાંચતાં એક કલાક થયો, જ્યારે ચિઠ્ઠીમાં ઘણી અગત્યની બાબત વાંચી, ત્યારે પોતાના પેગામી સ્વારને તૈયાર કરી મારતે ઘોડે શેઠને ઘેર મોકલ્યો, કેમકે રાત્રિના એ ચિઠ્ઠીનું પ્રતિઉત્તર શહેરમાં માંગ્યું હતું. પેગામીએ ઘેર જઈને જોયું તો ત્યાંથી ખબર મળી કે વાડીએ ગયાં છે, એટલે મારતે ઘોડે તે વાડીએ આવી પહોંચ્યો, તે વખતમાં એવો ધારો હતો કે, કંઈ જરૂરનો સંદેશો લઈને કોઈ સ્વાર જાય, ને રસ્તામાં ઘોડાની હડફટમાં માણસ ન સપડાય તેટલા માટે રણસિંગુ ફૂંકતો, તેમ જે સ્થળે પહોંચવાનો હોય ત્યાંના લોકને તેના આવી પહોંચવાની ચેતવણી આપવા ત્રણ વખત રણસિંગું વગાડતો કે મુલાકાતમાં વખત ન જાય. એ જ કારણથી પેગામી દૂતે બ્યુગલ ફુકયું ને મણિગવરી ને હરિલાલ એકદમ ચમકી અધુરી વાતે દરવાજા આગળ આવ્યાં.

પેગામીએ ઘોડાપરથી ઉતરીને દરવાજામાં પ્રવેશ કીધો. સહુ પરોણાઓ બાજુએ ખસી ગયા, પેગામીએ મણિગવરીના હાથમાં ચિઠ્ઠી ધરી, નીચા નમીને કુર્નસ બજાવી - ત્રણ સલામ કીધી. તેનો દેખાવ- પોશાક વિચિત્ર હતો, જાતે ભૈયો પણ વિશ્વાસપાત્ર અને કદાવર પંચહથ્થો હતો. આવો ભવ્ય દેખાવ જોઈને મણિને આશ્ચર્ય લાગ્યું, દીવે જઈને ધ્રુજતા હાથે પત્ર વાંચ્યો. વાંચી પ્રીતમના હાથમાં ધર્યો. હરિલાલે વાંચીને એકદમ કહ્યું કે, “સત્વર સિધારો.” તુરત મણિગવરી