પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩
શહેરમાં ચાલેલી લૂટફાટ

ત્યાં મરાઠા સીપાહીઓ મરણીઆ થઈને તૂટી પડતા, શ્રાવકોના મોહોલ્લામાંથી લૂટ કરવી એટલી તો મુશ્કેલ પડી કે, ત્યાં સો પચાસ શ્રાવકોનાં માથાં રખડતાં પડ્યાં હતાં; પરંતુ ઘણા આગળ થોડાનું જોર ઝાઝીવાર ટકે નહિ, તેથી મોટા મોટા ઝવેરીઓનાં જવાહીરો લૂટાયાં. મરાઠાઓ જ્યાં સુધી સોનું રૂપું મળે ત્યાં સુધી કદી પણ બીજી ચીજને હાથ અડકાડતા નહિ, પણ ઘરમાં પેસતાં જે ધાંધળ ને મારફાડ કરતા, તેથી સઘળી જ અવ્યવસ્થા થઈ જતી. ગોપીપુરા ને સગરામપુરામાંથી જે માલ મરાઠા સરદારોને હાથ ગયો, તેટલો બીજા મોહોલ્લામાંથી એ દિવસે ગયો નહતો. સુરતના લોકપર આવું અંધકારમય વાદળ અગાઉ કદી પણ આવ્યું નહતું અને તેની ગર્જના સાંભળીને લોકોમાં જે ભય વર્તાયો હતો, તે તો અતિશય શોકકારક જ હતો.

રાત પડી. આખા દિવસના થાકેલા મરાઠાએ બીજા દિવસની રાહ જોતા કિલ્લાનું મેદાન, સહરા, વરીઆવી, માન ને નવસારીના દરવાજા ઘેરીને સ્વસ્થ થવા પડ્યા. ઠામ ઠામ રૌન ફરતી તે મરાઠાની જ હતી. આખા શહેરમાં રાજ એ દિવસે મરાઠાનું હતું, કિલ્લામાં કેટલાક માણસો અગાડીથી ભરાઈ બેઠા હતા. તેમાં, દરવાજા ઉઘાડવાની ગડબડમાં નવાબ, તેની બેગમ અને બીજા સલાહકારો પણ ભરાઈ બેઠા હતા, મહેલમાં પુષ્કળ ખજાનો હતો, ત્યાં આરબ અને સિંધી સીપાહો પૂર્ણ વફાદારીથી જીવપર આવીને બેઠા હતા. કેટલાક પરદેશી ભૈયાઓ અંગ્રેજની કોઠી આગળ જીવ આપવા તત્પર હતા. તેમ અંગ્રેજોનું કેટલુંક માણસ પણ પોતાના બળપર પીસ્તોલ બંદુક સમશેર લઈ આખી રાત ચોકીપર હતું, બહારથી કોઈપણ પ્રકારની વહાર આવે તેને માટે રાત્રિના દરવાજા બહાર મરાઠી સૈન્ય તૈયાર હતું. શિવાજી એ દિવસની લૂટ જોઈને ઘણો ચકિત થયો નહિ, કેમકે તેના ધારવામાં તો એમ હતું કે, એક જ દિવસમાં અનરગળ દોલત હાથ આવશે. એ જેટલા આનંદમાં હોય તે કરતાં વિશેષ ચિન્તા અને શોકભયમાં