પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મહારાજે કહ્યું : 'હાજર કરો !'

મહામંત્રીએ શિલ્પી માયા હરિજનને રજૂ કરતાં કહ્યું :

'માયાએ અને એના સાથીદારોએ માત્ર પેટ પૂરતું લઈને કામ કર્યું છે !'

'માયા ! માગ, માગ. માગે તે આપું !'

'સ્વામી ! તમારું આપેલું એટલું છે કે નવું શું માગું? પણ માગવાનું કહો છો, તો માગું છું. મારા હરિજનોને હક આપો રસ્તે ચાલવાના.'

મહારાજાએ કહ્યું : 'માયા ! આપ્યા હક ! જેઓ આટલું મહાન કાર્ય કરી શકે, નિ:સ્વાર્થ ભાવે કરી શકે, એને હલકા કેમ કહેવાય ? વારુ, બીજું કંઈ માગ, માયા ! તેં તો જાદુ કર્યું છે જાણે પાટણને આખું ને આખું ઉપાડીને સાગરકંઠે મૂકી દીધું !'

'મહારાજ ! અમારી નાતે ઠરાવ કર્યો છે કે મહેનતાણામાં કંઈ ન લેવું. મહારાજ ખુશ હોય તો અમારે માથે જે લાલ લીરો ફરજિયાત વીંટવો પડે છે, તે માફ કરે. થૂંકવા માટે ગળામાં કુલડી બાંધી રાખવી પડે છે, તે રદ કરે. પીઠે સાવરણી બાંધવાની પ્રથા છે, તે દૂર કરે. અમને ગામની ભાગોળે વસવાની મંજૂરી આપે.'

'મંજૂર ! માયા, મંજૂર ! જે એમાં અડચણ કરશે, એને સિદ્ધરાજ નહિ સાંખે ! અને મંત્રીરાજ ! ઇનામમાં દરેક કુટુંબને પાટણના પાદરે એક- એક ઘર બાંધી આપો ! અને રાજ તરફથી બધાને એક-એક પાઘડી બંધાવો !

મહારાજે ઉદારતાપૂર્વક કદરદાની જાહેર કરી.

આખી સભાએ આ વધાવી લીધી. અવસર એવો હતો કે કોઈ હા-ના કરી શકે તેમ નહોતું.

'મંત્રીરાજ ! હવે આ સરોવરમાં બીજા કોઈની મદદ ? બીજાને કંઈ ઇનામ ? મારાજ સિદ્ધરાજે પૂછ્યું.

'મહારાજ ! એક નગરકન્યાએ પોતાનું ઝૂમણું આપીને મદદ કરી હતી.' અને મંત્રીરાજે સગાળશા શેઠની, તેમના દીકરાની અને કર્ણફૂલની માંડીને વાત કરી.

મહારાજ આ બાબતમાં કડક હતા. તેઓ બોલ્યા :

૧૦૦ ᠅ સિદ્ધરાજ જયસિંહ