પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કહેવાતું કે બાપુના પૂર્વજોએ તેર તવા વીંધેલા *[૧]

એવામાં બૂમ આવી : 'બાબરો આવ્યો !'

ડાયરો તો હરરર કરતો વીખરાઈ ગયો. બાપુ ભેટ છોડી ઊભા થયા. હોકો પડતો મૂક્યો. ભગલાને પાસે બોલાવી કહ્યું :

'અલ્યા, તારી પાઘડી લાવ. મારી પાઘડી તું લે. બાબરો તો રજપૂતોનો કાળ છે. એમને દીઠા મૂક્તો નથી.'

ને બાપુ તો ભગલાની પાઘડી પહેરીને જાય ભાગ્યા.

ગોર મહારાજ રેવાદાસ ઘરના આંગણામાં બેઠા-બેઠા ગીતા વાંચતા હતા; ભગવાન કૃષ્ણનો ઉપદેશ સંભળાવતા હતા :

'પછી શ્રી ભગવાન બોલ્યા, હે અરજનિયા ! તું મરીશ તોયે સ્વરગે જઈશ. મારીશ તોય સ્વરગે જઈશ. માટે દીધે રાખ. તારે તો બંને હાથમાં લાડવો છે !'

લાડવો ! ને રેવાદાસનું મોં પહોળું થઈ રહ્યું; બોલ્યા : 'અરે ભટાણી ! આજ કોને ત્યાં જમવાનું નોતરું છે ?'

ત્યાં તો બૂમ પડી : 'બાબરો આવ્યો !'

ગોર મહારાજની ડાક્લી ફાટી રહી. અને સભા તો, બિલાડીને જોઈ જાર ખાતાં કબૂતરાં વેરાઈ જાય એમ, વેરાઈ ગઈ.

ગોરે ચાંદીની આચમની, ચાંદીનું તરભાણું ને સોનાની ભગવાનની મૂર્તિ પાણીના ગોળામાં પધરાવી દીધાં.

ગોરાણીને કહ્યું : 'કીમતી ચીજો સંતાડી દો. ભલે બાબરો આવે. માયા દેખી મુનિ ચળે તો બાબરો કોણ ? બાકી એક વાર ચાર આંખ થવા દો. આશીર્વાદમાં અડધું ન પડાવી લઉં, તો મારું નામ રેવાદાસ નહિ ! ઠેઠ કાશી જઈને ભણ્યો છું, હો !'

ગોબર શેઠ ગામના મહાજન. ગણેશ જેવી મોટી દુંદ. બેઠા-બેઠા હિસાબ-કિતાબ સરખા કરતા હતા.


  1. * તેર તવા : તવો એટલે લોઢાની તાવડી. એવી તેર તાવડી એક પછી એક લટકાવી, એક તીરથી વીંધી નાખવી તે તેર તવા વીંધવા.
બાબરો ભૂત ᠅ ૩