શેઠાણી હરકુંવર કીકાને રમાડતાં પાસે બેઠાં હતાં; ગીરો મૂકેલાં ઘરેણાંના દાબડા ઉઘાડીને જોતાં હતાં; પૂછતાં હતાં :
'આ હાર કોનો છે ?'
'અરે ! શેઠાણી, ગમતો હોય તો તમારો. આવ્યો એ આવ્યો. જમના ઘેરથી કોઈ જીવ પાછો ગયો છે ? સરકારની જનમટીપમાંથી કોઈ ભાગે, પણ મારા ચોપડામાં જે કેદ થયો એ મરે તોય ન છૂટે.’
ત્યાં બૂમ પડી : 'બાબરો ભૂત આવ્યો !'
ગોબર શેઠ તો સડાક કરતા બેઠા થઈ ગયા. પાસે હતાં એ ઘરેણાં ગંદા પાણીની મોરીમાં નાખી દીધાં. શેઠાણીનો સાડલો ખેંચતાં કહ્યું :
'બાબરો વાણિયાને દીઠો મેલતો નથી. કહે છે કે વાણિયો ઢોરના આંચળમાં વળગેલી બગાઈ જેવો છે. બગાઈ તો મસળી નાખવાની. અરે, મણીઆની મા ! લાવ તારાં કપડાં. અત્યારે બચવાનો આ એક જ આરો છે '
ગોબર શેઠે ચણિયો પહેર્યો, સાડી પહેરી; લાંબો ઘૂમટો કાઢી આઘા જઈને બેઠા.
હરકુંવર કહે : 'મારાથી તમારી જેમ ખૂણામાં જઈને નહિ બેસાય. હું તો વનરાજના દીવાન ચાંપાના વંશની છું. દરવાજે સાંબેલું લઈને ઊભી છું. લો આ કીકાને. બાબરો આવશે તો કહીશ કે આ તો મારી દેરાણી છે !'
શેઠ કહે : 'શેઠાણી ! એમ તો દશ પેઢી પર અમેય ગરાસિયા હતા. પણ વખતને માન છે. નહિ તો આ બાબરું શું !'
વસવાયાના વાસમાં બૂમ પડી : 'બાબરો આવ્યો !'
બધા બહાર દોડી આવ્યા. ઘરમાંથી પાણી ખેંચવાનાં દોરડાં લાવ્યા. દોરડાંથી એકબીજાના હાથ બાંધીને હારમાં ઊભા રહી ગયા.
વંટોળિયો આવે એમ બાબરો આવ્યો. વસવાયાં બધાં કહે : 'મેં ગુલામ ! મેં ગુલામ ! મેં ગુલામ તેરા !'