પૃષ્ઠ:Snehashristi.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૨:સ્નેહસૃષ્ટિ
 

‘સુરેન્દ્રનો ક્યારે આભાર માનવો છે ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘મારું લગ્ન થશે તે દિવસે - મારાં માતાપિતાને કે મારાં સાસુસસરાને પગે લાગતા પહેલાં હું સુરેન્દ્રને પગે લાગીશ. પછી કાંઈ ?’ મધુકરે હસતે હસતે તેને ગમતી લગ્નની વાત તરફ જ્યોત્સ્નાનું લક્ષ દોર્યું. વાતે ચઢેલી જ્યોત્સ્ના એકાએક સાવધ થઈ અને તેણે પોતાનું ઊઘડી ગયેલું મસ્તક પાછું ઢાંક્યું. મધુકરે તેને એમ કરતાં રોકી લગભગ તેનો હાથ અટકાવીને.

‘તો મધુકર ! હું માથે ઓઢી લઉ તે પહેલાં તને એક પ્રશ્ન પૂછી લઉં.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘એક નહિ, સો પ્રશ્ન તું પૂછી શકે છે. કહે શું પૂછવું છે?’ મધુકરે વહાલભર્યો વિવેક કર્યો.

‘હું એમ પૂછું છું કે જો તું લગ્ન પછી સુરેન્દ્રને પહેલો પગે લાગે તો મને ક્યારે પગે લાગીશ ?’ જરા સ્મિત કરી આંખ ચમકાવી, સ્મિત સાથે ગાલ ઉપર વર્તુલ ઉપસાવી જ્યોત્સ્નાએ પૂછ્યું.

મધુકર એકાએક ખડખડ હસ્યો અને બોલ્યો : ‘તને તો લગ્ન પહેલાં પણ પગે લાગ્યો છું અને લગ્ન પછી પણ પગે લાગીશ ને !’

‘મને યાદ નથી કદી તું મને પગે લાગ્યો હોઉં.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘તારે માનસિક નમસ્કાર જોઈએ છે કે શારીરિક ?’

‘તને જે ગમે તે.’

‘જો, માનસિક નમસ્કાર તો હું તને રોજ કરું છું. અને જો તારી ઇચ્છા હોય તો શારીરિક નમસ્કાર પણ તને હમણાં જ કરી બતાવું.’

‘મધુકર ! તું કેવા નમસ્કાર કરીશ? બે હાથ જોડીને, દંડવત કરીને કે તારી જાણીતી અંગ્રેજી ઢબે ?’ જ્યોત્સ્નાએ તેને રમૂજમાં પ્રશ્ન કર્યો. મધુકરને હવે ચોક્કસ લાગ્યું કે જ્યોત્સ્નાને તેની ભૂરકી બરાબર લાગી છે, અને તે આજ તેની સ્પષ્ટતા કરવા પ્રેમરમૂજે ચઢી છે. રમૂજે ચઢેલી લલનાને વધારે રમૂજે ચઢાવવામાં મધુકર પાવરધો હતો. અત્યારનો પ્રસંગ તેને જતો કરવા જેવો લાગ્યો નહિ. તેણે પણ સામેથી ખૂબ મીઠાશભરી રીતે પૂછ્યું :

‘જ્યોત્સ્ના ! તને કઈ ઢબના નમસ્કાર ગમે ? તું કહે તે ઢબના નમસ્કાર હું તને કરવા તૈયાર છું.’

‘ત્રણે ઢબના નમસ્કાર તું કરી બતાવ, એટલે મને કઈ ઢબ પસંદ છે