"હા!"
“કેમ અસૂરા ?”
“મારે અટાણે ગામતરે જવું પડે છે. પણ મારા આવતાં પહેલાં મે'માનને હાલવા દેશો મા. સવારને પહોર મારે મે'માનને કસુંબો પાવો છે. જોગમાયાની દુહાઈ દઉં છું હો કે ! ”
“એ ઠીક ”
રાજો બારોટ ઉપડ્યો. પગપાળા પંથ કાપવા મંડ્યો. અંધારામાં ગોથાં ખાતો ખાતો રાતોરાત પોલે પાણે પહોંચ્યો. પરોડીયે મ્હોંસુઝણું થાતાં નાથા બારવટીયાએ પથારીમાંથી ઉઠતાં જ બારોટને દીઠો.
“ઓહોહોહો ! બારોટ ! તું અટાણે કીવો ? અને આ માથે લાંઠીયુ કીં બાંધ્યું ? કાંઈ માઠા સમાચાર લાવ્યો છે ? "
“હા બાપ, બહુજ માઠા !”
“કુંણ પાછું થયું ?”
“નાથો ભાભો પંડ્યે જ પાછો થયો, બાપ !”
“કેમ બારોટ, અવળાં વેણ ?”
“અવળાં નથી. સાચે જ નાથો મેર મરી ગયો. નીકર દુવારકાની જાત્રાએ જાતાં મેરની પાસેથી જામના ચાકર ૩૦૦ કોરીનું દાણ કઢાવે ? પણ આજ મારો નાથીઓ સાવઝ મરી ગયો ! "
નાથાએ રાજા બારોટ પાસેથી બધી વાત સાંભળી. - એની છાતીમાં પણ ઘા પડ્યો. એણે માણસને કહ્યું કે “ભાઈ, કોક દોત કલમ લાવજો તો ! "
ખડીયો કલમ ને કાગળની ચબરખી રાજાની પાસે મેલીને કહ્યું: “લે બારોટ, હું લખાવાં ઇ તું લખ. લખ કે
“ભોગાટના દાણ લેવા વાળાઓ ! છત્રાવાના મેર રાણા ખુંટી પાસેથી તમે જે ત્રણસો કોરીનું દાણ લીધું છે, તેમાં ત્રણસો કોરી દંડની ભેળવીને