પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
સોરઠી બહારવટીયા
 

“કાંઈ કાંવ ? તમે બધા દાઢી મૂછના ધણી થઈને હાથે કરેને નાથાને સુંપે દેવા હાલ્યા છો ? અંતરમાં કાંઈ લાજ શરમ ઉઠતી નથી ! મેરાણીને પેટ પાક્યા છો !”

“તી કાંવ કરવું ?”

“તમારે કરવું હોય તી કરજો. હું તાં તમારી નામરદાઈમાં નહિ ભળું.”

એટલું બોલીને પરબત નોખો તર્યો. પાછો મરડીને નાથા પાસે ગયો. કહ્યું કે

“ભાભા ! અમારો સહુનો મત નથી મળતો. માટે તું તારે કરતો હોય તી કરજે.”

એટલું કહી પાછા વળીને પરબતે બધા વષ્ટિવાળા મેરોની મંડળીને આંબી લીધી. સહુને છૂટા પડવાનું ટાણું થયું તે વખતે આખા મંડળમાંથી પાજી પૂંજો ખસ્તરીઓ બોલ્યો કે “ભાઈ ! હાલો, રાણાને જેવો હોય તેવો જવાબ તો દેં આવીએ !”

“હાલો. કાં રાણાની બીક લાગે છ ?”

પોરબંદર જઈને પૂંજા ખસ્તરીઆએ રાજમાતાની અને રાણાની પાસે ખાનગી વાત ફોડી કે “માડી ! તમે જે પરબતને 'ભાઈ' કહેલો છે, એણે જ જઈને નાથાને ચડાવ્યો છે. અમારી વષ્ટિ એણે ધૂળ મેળવી છે. એની સાથે લાધવો, રાણો છાડવો વગેરે સાત જણ પણ ભળ્યે ગા છ. માથે રે'ને નાથાને લૂંટ કરાવનારા એ ચાર જણા જ છે. હવે તો ઈ જાણે ને તમે જાણો.”

રૂપાળીબાએ એ સાતેના હાથમાં હાથકડી ચડાવી દીધી સાત કેદીઓ દરબારગઢના ચોકમાં ઉભા છે. સાતમાંથી સિંહ સરખા જોરાવર લાધવાએ હાથકડી મરડીને તોડી નાખી, “આ લે તારી ચુડલીયું !” એમ કહીને ચોકીપહેરા વચ્ચેથી વકરેલ પાડા જેવા એ વછૂટ્યો. છુટીને દોડ્યો દરબારગઢની મેડી માથે. દિલમાં હતું કે પારણે હીંચતા કુંવરને મારા ખોળામાં લઈ