પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાલો નામોરી
૧૨૭
 

બહુ ઝાઝું બોલતો પણ નહિ. ભેરુઓનાં ગાન ગુલ્તાનમાં કદિ ભળતો નહિ.

કાતરોડીનો એક કોળી હતો. એનું નામ મકો એક દિવસે મકો વાલીયાના પગમાં પડીને પોતાનું દુઃખ રોવા મંડ્યો.

“શું છે ભાઈ ? ”

“મને મકાઈ સાહેબ મારી નાખે છે ! ”

“શા સારૂ ?”

“તારી બાતમી લઈ આવવા સારૂ.”

“તે એમાં મુંઝાછ શીદને ભાઈ ? જા, બેધડક કહેજે કે વાલીયો અનલગઢમાં બેઠો છે. સાહેબની માએ સવાશેર સુંઠ ખાધી હોય તો આવે મળવા. ”

“પણ વાલા, તને આંગળી ચીંધાડીને હું મરાવું તો તો કયે ભવ છૂટું ?"

“ભાઈ, મરવા મારવાની તો આ રમત જ છે ને ! અને વાલો તો સંધાય વેરીઓને સામેથી જ વાવડ દઈ મોકલે છે. વાલાની તે કાંઈ ગોત્યું હોય ? જા તું તારે લઈ આવ સાહેબને.”

અનલગઢની ધાર ઉપર વાલો બેઠો છે. મકાઈ સાહેબ ઘોડે ચડીને ચાલ્યો આવે છે. મોખરે મકો કોળી દોડ્યો આવે છે. સાહેબને દેખીને વાલે ઠુંઠા હાથ ઉપર બંદૂક ટેકવી. બરાબર સાહેબના ઘોડાના ડાબલાનું નિશાન લઈ ભડાકો કર્યો. પલકમાં તો ઘોડાના પગમાંથી ડાબો નોખો જઈ પડ્યો. ચમકીને મકાઈ સાહેબે ઉંચે જોયું. બંદૂકની નાળ્ય તાકીને કાળને ઉભેલો ભાળ્યો. ધાર માથેથી વાલીયે અવાજ દીધો કે

“એ ય ઉલ્લુ સાહેબ, આજ મારતો નથી. ફક્ત ચેતવું છું.