આય.” [હવે તો લધુભા ! અમે શરમાઈ ગયા છીએ. અમારે તો તને નહિ, પણ આ તારા મહેતાઓને જ લૂંટવા હતા. એણે ચોપડામાં અમારાં ખાતામાં ખૂબ કલમના ઘોદા માર્યા છે.]
"હણે કૂરો ?" લધુભાએ વાઘેરને પૂછ્યું,
“હણેં હલો. આંકે રણજી હુન કંધીતે છડી વેજું. નક આંકે બીયા કોક અચીને સંતાપીના. [ હવે ચાલો, તમને રણની પેલી બાજુ સુધી પહોંચાડી જઈએ. નીકર તમને બીજા કોઈક આવીને સંતાપશે.]
વાઘેર લૂંટારો ખસીયાણો પડી ગયો. કોઈ કુટુંબી પૂછે તેવી રીતે પૂછ્યું, “લધુભા ! ભૂખ લગી આય.”
“તો ડીયું ખાવા. જોધો માણેકજો પરતાપ આય.” [તો દઉં ખાવા. જોધા માણેકનો પ્રતાપ છે. ]
ખવરાવ્યું. લૂંટારો હતો તે વોળાવીયો બન્યો. લધુભાનાં ત્રણે ગાડાંને સામા કાંઠા સુધી પહોંચાડી આવ્યો.
રામજીના ભાઈ જેરામે બેટમાં પહોંચીને શું કર્યું ? બહાદુરી કરીને કિલ્લો બચાવ્યો, ગાયકવાડી સિપાહીઓને શૌર્ય ચડાવ્યું કે 'દ્વારકાવાળા ખૂટી ગયા. પણ તમે ખૂટશો મા. કિલ્લો સોંપશો મા.” એણે સામો પક્ષ લીધો.
સિપાહીઓ-પણ અમારે ખાવાનું શું કરવું ?
જેરામ-હું સગવડ કરી દઉં, મંદિરમાં વાંધો નથી.
વાઘેરો ચડી આવ્યા. મંદિરનો કિલ્લો બંધ દીઠો. અને આખી રાત કિલ્લા ઉપર કપાસીઆ તેલના દીવા માંડી એક આદમીને “ખબરદાર ! ખબરદાર !” એવી હાકલો સાથે ચોકી દેતો દીઠો.