પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
સોરઠી બહારવટીયા : ૩
 


એટલો બોલાસ થાતાં તો આઘેરે ખાટલેથી એક આદમીએ જાગીને પડકારો દીધો કે “કોણ છે ઇ ઉતારામાં ?”

“આદમ મકરાણી !” ઉદયશંકર દેશાઇએ ઉત્તર દીધો ! “કોઈ નથી. સૂઈ જાવ તમે તમારે.”

દેશાઈનો વફાદાર અને શૂરો વિલાયતી આદમ જમાદાર સમજી ગયો. બંદૂક લઈને દોડ્યો. કોઠા માથે ચડી ગયો. ઉપરા ઉપરી બંદૂક નીરવા લાગ્યો. મહીયા જોઈ રહ્યા. વખાણ કરવા લાગ્યા કે “વાહ લોંઠકાઈ ! ખરો માટી !” પણ એક મહીયા જુવાને પાછળથી ચડી, પગ ઝાલી આદમને નીચે ઝીંક્યો. ઝીંકીને દાબી દીધો. દબાએલો આદમ મહીયાઓને મ્હોં ફાટતી ગાળો કાઢવા મંડ્યો.

ગાળો સાંભળીને પૂને મહીયે કહ્યું “એ જમાદાર ! મરદ થા, ગાળ્યું મ કાઢ.”

પણ આદમની જીભ ન અટકી, ત્યારે ગીગાએ કહ્યું કે “પૂના ! એ પોતે તો બહાદરિયો છે, પણ એની છભ જ અવળચંડી છે. માટે એ રાંડ જીભને જરા જામગરી ચાંપજે !”

આદમની જીભને ટેરવે પૂને જામગરીનો ડામ દીધો. આમદ ચૂપ થયો. એટલામાં પૂનાને કંઈક વહેમ આવતાં એણે દેસાઈના પલંગ હેઠળ બરછી ફેરવી. ફેરવતાંની વાર જ અંધારે ચીસ પડી કે “એ બાપા ! મને મારો મા, આ લ્યો આ દેસાઈનો અછેડો.”

પલંગ નીચે છુપાનાર એક માળી હતો. એને પૂનાએ બહાર ખેંચ્યો. એના હાથમાંથી ઉદયશંકર દેશાઈએ સેરવી નાખેલો હેમનો હાર ઝુંટવીને પૂને મહીયે થપ્પડ મારી કહ્યું કે “હે નીમકહરામ ! તારા ધણીના હાર સાટુ જરીક બરછી પણ ન ખમી શક્યો ?”

આખો દાયરો દેસાઈને લઈને ગીર તરફ ગયો. સારી પેઠે આઘા આવ્યા પછી ગીગાએ દેસાઈને કહ્યું કે “કાકા ! મારે પેટની આટલી જ વાત કહેવી હતી : કે મારૂં અકાળે મોત થાશે. પણ મારે દીકરા નથી. એટલે મારી અવગતિ થાશે. મને કોઇનો ભરોસો નથી, કે આગળથી મારી ઉત્તરક્રિયાનો બંદોબસ્ત કરૂં. તમે ધરમવાળા