પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સાથેનો તેમનો તાદાત્મ્યભાવ એક દમ આગળ ચાલ્યો છે. અકસ્માત એવો થયો કે બીજા અંતરાયોને કારાણે 'તુલસી-ક્યારો'નાં છેલ્લાં ચારેક પ્રકરણોનો અંતભાગ મારે મોકૂફ રાખવો પડેલો. એટલે એ સમાપ્તિ હું કેવી રીતે લાવવાનો હોઈશ તે વિષેની પુષ્કળ અકળામણ, કંઈક ધાસ્તી ને કેટલોક સંદેહ અનુભવી રહેલાં વાચક ભાઇઓ-બહેનોએ મને ચેતવણીના કાગળો લખેલા. અમૂક પાત્રને રખે તું અમૂક રીતે બગાડી કે દુઃખી કરી મૂકે ! એવા એવા એ ચેતવણી-સ્વરો પરથી મને લાગ્યું કે વાંચકો પોતે જ આ વાર્તાનો અંત કેવો ઇચ્છે છે ને કલ્પી શકે છે તે તેમની પાસેથી જ જાણી લેવું. નિમંત્રણ દીધું. જવાબો આવ્યા. 'ફૂલછાબમાં એ જવાબો પ્રગટ કર્યા, અને એ જવાબોએ મને ખાત્રી કરાવી કે વાચકો પોતાને પ્રિય થઇ પડેલી સરજાતી વાર્તાને કેવળ વાંચતા જ નથી, પણ તેના સર્જનમાં ય સક્રિય સાથ આપે છે, ને પોતાની ઉકેલ બુદ્ધિથી એ પારકી કૃતિને (એનું પારકાપણું બિલકુલ ભૂલી જઈ) પોતાપણાથી રસી દે છે.

આવા ઉકેલો અનેક આવ્યા. આપણા વાર્તાસાહિત્યના સર્જનની એ નવીન વિશેષતાનો એક ઐતિહાસિક પાના લેખે આંહી ગ્રંથસ્થ કરવાની મારી ઉત્કટ ઇચ્છા હતી, પણ તેમ કરવા જતાં પુસ્તકની કિંમત પોતાને રૂ. ૩ કરવી પડશે. એવી સ્થિતિ આ પુસ્તકના મુલ્યનિર્ણયના મુખત્યાર પ્રકાશકોએ મને લાચારીથી લખી જણાવી, અને અમૂક જ લેખકની વાર્તા ગણીને ખરીદનારો કેટલોક સમૂહ આવા એક 'ઐતિહાસિક પાના'ને ખાતર અરધા રૂપિયાનો વધારો પસંદ નહિ જ કરે એમ લાગતાં વાચકોના એ સુંદર પત્રો મારે છોડી દેવા પડ્યા છે.

મેં આણેલી સમાપ્તિનું બધું જ સુખ સુખ ને સુખ જ નથી વેરી દીધું. કંચન-વીરસુત વચ્ચેનો વિયોગ મૂકવાની ગણતરી તો અગાઉથી જ હતી. લડાઈનો અકસ્માત તો એ નક્કી કરેલ સમાપ્તિને લટકાવવાની ખીંતી જ બનેલ છે. વસ્તુતઃ મારે તો વાર્તાને, કંચનની પ્રસૂતિવાળા ૪૩મા પ્રકરણના છેલ્લા બોલ 'બડકમદાર' સાથે જ થંભાવી દેવી હતી. 'સુખકારી સમાપ્તિ'ની મારી જે કલ્પના છે તે ત્યાં જ બંધ બેસતી થતી હતી.

કોઈ કહેશો ના કે ભદ્રાને કે ભાસ્કરને મારે હજુ આગળ લઈ જવાં જોઈતા હતાં. નહિ, એમ કરવા જતાં મેં વાર્તાનું પ્રધાન દૃષ્ટિબિંદુ જ ગુમાવી