અરણિ
નાનપણમાં જોયેલું ભૂંસાતું નથી. અમારા ગામની પોસ્ટ ઑફિસના ચોગાનમાં અરણિનું ઝાડ હતું.
એકવાર મેં એક માણસને મૂંગો મૂંગો તેનાં સુકાં ડાંખળાંને તોડતો જોયો. મેં તેને બોલાવ્યો; પણ તે બોલ્યો નહિ. પાછળથી મને માલૂમ પડ્યું કે એ પોતાના છોકરાના ગળામાં ડાળખાંની માળા કરી પહેરાવવા માટે તે લેતો હતો. વાંચનારને આ વાત વિચિત્ર લાગશે; મૂંગાં મૂંગાં અરણિ લેવાનું સમજાશે નહિ. પણ તમે જાણજો કે હજી પણ લોકોમાં વહેમો ઘણા ચાલે છે; અને મૂંગા મૂંગા દવાનાં ડાળખાં લેવાં પણ એક વહેમ જ હોય.
જોકે આપણા જૂના વૈદકશાસ્ત્રમાં તો અમૂક ઔષધિ મૂંગા મૂંગા લેવી એવું લખેલું છે. કોઈ સારા જૂના વૈદને પૂછજો; વખતે કાંઈ વાજબી કારણ નીકળે !
અરણિના ઘણા ઉપયોગ છે, પણ તેમાં બહુ કામનો ઉપયોગ એ છે કે વાઘ કરડે ત્યારે અરણિનો પાલો મીઠું નાંખી વાટીને બાંધવો. દવા તો સારી છે અને સાચી પણ હશે; પણ મૂશ્કેલી છે કે વાઘ અને અરણિ એ બે નજીક નજીક રહેતા હોય તો જ દવા થઈ શકે !
સીમમાં હોઈએ ત્યારે અરણિનાં ફૂલોથી મઘમઘેલી સીમ નાકને આનદ આપશે. બારડોલીમાં ફરતી વખતે ગુજરાતના ફળદ્રુપ ખેતરોની વાડે ઊભેલી અરણિના ફૂલોની સુવાસ અમને બહુ મળી હતી.