જાળ્ય
ઘણા થોડા માણસો આ ઝાડને ઓળખે છે. જાળ્ય ખાસ કરીને કાઠિયાવાડના ભાલમાં અને ક્યાંઈક ક્યાંઈક ખેડા જિલ્લામાં થાય છે.
જાળ્યનું ઝાડ ઘણું પુરાતન છે, એવું પુરાણ વાંચવાવાળા કહે છે.
ભીમે માટીની લોટી ફોડી નાખી ને નીએથી શંકર નીકળ્યા, તે વાત મહાભારતના સમયની કહેવાય.
ભીમ ભોળો ગણાય છે. તે શંકરનો ભક્ત હતો. શંકરને પૂજ્યા વિના તેને અન્ન ખપતું નહિ. ભોળે ભાવે શંકરને નામે ગમે તે પથરાને પૂજતો. ભગવાન શંકર પણ તેની ખરા અંતઃકરણની ભક્તિ સમજતા હશે.
એક દિવસ અર્જુને તેની મશ્કરી કરી : "જો પેલી જાળ્ય નીચે શંકર છે." દિશાએ જઈ આવેલી માટીની લોટીને અર્જુને ઊંધી વાળેલી ને તેના ઉપર બીલીપત્ર ચડાવેલાં હતાં.
ભીમે ભક્તિથી લોટીની પૂજા કરી; શંકર માની પગે લાગ્યો.
અર્જુને વાત ઉઘાડી પાડી. ભીમને સૌ હસવા લાગ્યા.
ભીમે કહ્યું : "ના, મેં શંકર જ પૂજ્યા છે. મારા મનમાં શંકર જ દેખાયા છે. ચાલો, લોટી છે કે શંકર તે બતાવું."
અર્જુન અને બીજા ભાઈઓ સાથે ભીમ જાળ્યના ઝાડ નીચે આવ્યો.