લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તાનો વિશિષ્ટ ઉપયોગ
૧૯૭
 

લોકવાર્તાઓમાં પ્રજનનનાં ઊંડાં સત્યો વ્યક્ત થયેલાં છે. વનસ્પતિને ફળો કેમ બેસે છે, જાત જાતનાં સસલાં કેમ થાય છે, કબૂતરોની આટલી બધી જાતો કેમ છે, ઈન્ડામાંથી બચ્ચાં શાથી નીકળતાં હશે, વગેરે બાબતોની વાર્તાથી આડકતરી રીતે બાળકમાં મનુષ્ય- ઉત્પત્તિનો વિચાર આવે છે. ત્યારથી જ પ્રજનનશાસ્ત્રમાં વિદ્યાર્થીનો પ્રવેશ થાય છે.

એવા અનેક વિષયો છે કે જેને વાર્તાઓ દ્વારા આપણે સમજાવી શકીએ અથવા શીખવી શકીએ. મુશ્કેલી માત્ર એટલી જ છે કે હકીકતોમાંથી શિક્ષકને વાર્તા બનાવી લેતાં આવડવી જોઈએ. વાર્તાનાં તત્ત્વો કયાં કયાં કહેવાય તે જો શિક્ષક જાણતો ન હોય તો તેનાથી આ કામ બની શકે નહિ. વાર્તાનાં સાચાં રૂપરંગ જ્યાં સુધી વર્તામાં બાળકને દેખાય નહિ ત્યાં સુધી બાળક તે સાંભળે નહિ. આપણે કહીએ કે “શાહજહાન નામનો દિલ્હીનો બાદશાહ હતો. તેને એક બેગમ હતી. તે ઘણી રૂપાળી હતી. બાદશાહ તેને ખૂબ ચાહતો હતો.” આટલું કહીએ ત્યાં તો બાળકોને બગાસાં આવવા લાગે. ‘તાજ’ની વાત આમ ન કહેવાય. એ તો એમ શરૂ કરાય કે “એક હતી બાદશાહની બેગમ. એનો દાંત હલવા લાગ્યો.” એટલું કહીએ ત્યાં તો બાળકોનું ધ્યાન ખેંચાય. પછી એ દાંતનું શું થયું એ પ્રશ્ન બાળકના મનમાં સહેજે ઊઠે ને આગળ કથા સાંભળવા ઉત્સુક બને. પછી આપણે કહીએ કે એમ કરતાં કરતાં દાંત પડી ગયો. પછી બાદશાહ કહે : “બેગમસાહેબ, બેગમસાહેબ ! આ દાંત ઉપર એક મોટો મોટો મહેલ ચણાવીએ. એવો મહેલ ચણાવીએ કે દુનિયામાં એના જેવો મહેલ બીજો કોઈ ચણાવી જ ન શકે. એવો મહેલ ચણાવીએ કે એમાં લાકડું કાંઈ વપરાય જ નહિ. એકલો આરસ,