લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૬
વાર્તાનું શાસ્ત્ર-૨
 

હંમેશાં મળી શકતો નથી કારણકે કુદરતની કૃતિઓ અગમ્ય અને અકલિત છે. આથી આપણે ઐતિહાસિક સત્ય બિનાઓ ઉપર નીતિની વાર્તાઓનું મંડાણ માંડવા જઈએ તો ઔરંગઝેબની વાર્તાનો ખુલાસો આપણે આપી ન શકીએ. અસત્ય બિનાઓ પણ માણસમાં સ્વાભાવિક છે એવો જે ભાસ ઈતિહાસથી થાય તેને આપણે રોકી શકીએ નહિ.

બધી સારી વાર્તાઓ વાર્તાકથન માટે ચાલે; એમાં નીતિભરી વાર્તાઓ પણ આવી જાય. તે વાર્તાઓ પોતાના આત્માની સુવાસ પોતાની મેળે જ કથનની કળા દ્વારા આપી જાય, એથી વિશેષ કાંઈ કરવાપણું નથી.

બેશક, આપણે અનીતિ-ઉપદેશક વાર્તાઓ બાળકોને ન સંભળાવીએ. જેમ સારી વાર્તાની સુવાસ છે તેમ નઠારી વાર્તાઓની કુવાસ પણ છે. પણ અનીતિમય વાર્તાઓ કઈ અને કઈ નહિ, તેનો વિચાર કરી લેવો જોઈએ. નીતિ અને અનીતિનો આધાર સામાજિક આદર્શ અને ધાર્મિક આદર્શ ઉપર છે. એક ધર્મના કે સમાજના માણસને કેટલીએક વાર્તા ભયંકર લાગે તો કોઈ બીજા ધર્મ અને સમાજના માણસને એ વાર્તા સ્વાભાવિક લાગે. ઘણી વાર નીતિને લોકોએ શિષ્ટતાને દરજ્જે પહોંચાડેલી હોય છે, તેથી પોતાને જે અશિષ્ટ લાગે છે તેને અનીતિવાળું કહી દેવાની તે ભૂલ કરે છે. નીતિના સાર્વત્રિક અને સર્વમાન્ય સિદ્ધાંતોનો ભંગ કરતી વાર્તાઓનો આપણે ઉચ્છેદ કરીએ; પણ નીતિને નામે ચાલી શકે તેવી અસંસ્કૃત કે ગ્રામ્ય વાર્તાઓને આપણે છેક છોડી ન દઈએ. ઘણા લોકોએ શિષ્ટતાનો અને નીતિમયતાનો મગજ પર એવો દૃઢ લેપ કરેલો હોય છે કે તેઓ ગ્રામ્યવાર્તાના દુશ્મન બન્યા હોય છે. એમનો લેપ ઢોંગનું બીજું નામ છે. માણસ