લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લોકવાર્તાનું કથન અને કલ્પનાશક્તિ
૨૩૫
 

પાર જઈ વસ્તુમાં જે સૃષ્ટિ આરોપિત કરી શકાય તેનું આરોપણ કરી કલા ઉપજાવવી જોઈએ. પહેલો પક્ષ ઝાડ જેવું ઊગે છે તેવું જ ચીતરવાનો આગ્રહ રાખે છે; બીજો પક્ષ કહે છે કે ઊગતું ઝાડ તો સૌએ જોયું છે, તેને ચીતરવામાં કાંઈ કલા નથી; પણ ઝાડના ચિત્રમાં જે સુંદરતા લાવી શકીએ, જે કોમળતા મૂકી શકીએ, જે સુંદર રંગોનું મિશ્રણ જમાવી શકીએ તે શા માટે ન જમાવવું ? કલા વસ્તુની પ્રતિકૃતિ હોય તો પછી કલાનું સ્થાન ક્યાં છે ? કુદરતના ચિત્રમાં એકીસાથે સુંદર સૂર્યાસ્ત, એકાદ નિર્મળ સરોવર, વૃક્ષોની કુંજ, ભૂરા ડુંગરાં એ બધું મૂકવાનો હેતુ ભિન્ન ભિન્ન વસ્તુમાં રહેલી વાસ્તવિકતાને કલ્પનાને બળે એકત્ર કરવાનો છે. બધાં સરોવરોમાં હંસ હોતા નથી, બધાં સરોવરોને કાંઠે કમળો ખીલતાં નથી, બધાં સરોવરોમાં એકાદ નાની કિસ્તી પડી હોતી નથી. છતાં ચિત્રકારોને આ સુયોગ કરવો ગમે છે, અને એમાં જ આપણને મજા લાગે છે. આનું કારણ કલામાં આપણે કેવળ વાસ્તવિકતા માગતા નથી એ છે. હંસ છે તેનાથી મોટો આપણે ચીતરતા નથી; કમળ થાય છે તેનાથી જુદા રંગનાં બતાવતા નથી; કિસ્તી એ મનની કલ્પના માત્ર નથી. છતાં આવું એક સંપૂર્ણ દૃશ્ય તો કલાધરની કલ્પના જ છે.

આવું જ વાર્તાઓનું છે. હરેક વાર્તા કલાની કૃતિ છે અથવા શબ્દચિત્ર છે. બેશક કોઈ પણ વાર્તા સાચી છે એમ કહી શકાય નહિ. આથી જ ઈતિહાસ અને વાર્તા એકબીજાથી જુદાં પડે છે. દંતકથાને ઈતિહાસ નથી કહેતા ઐતિહાસિક વાર્તાને ઈતિહાસથી જુદી ગણીએ છીએ, તેનું આ જ કારણ છે. છતાં વાર્તાની હકીકતો ખોટી નથી અને તેથી લોકહૃદયે વાર્તાઓ ગપ્પાં છે એમ કહીને તેમને ફેંકી દીધી નથી. દરેક વાર્તા વાંચી જુઓ તો જણાશે કે