પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘પણ આ વિલાયતી રમકડું આંહીં કેમ કરીને આવ્યું?’ ચંપાએ પૂછ્યું.

‘લે! હું તો તને કહેતાં જ ભૂલી ગઈ! આ તો ઓતમચંદ શેઠ હમણાં આપી ગયા બીજલને!’

‘પણ ઓતમચંદ શેઠ ક્યાંથી લાવ્યા હશે? આપણા મુલકમાં તો આવાં રમકડાં થાતાં નથી ક્યાંય—’

‘આ તો મુંબઈથી આવ્યાં છે!’

‘મુંબઈથી!’ ચંપાએ પૂછ્યું. ‘મુંબઈથી કોણ લાવ્યું?’

‘લે! તને ખબર નથી?’ ઓતમચંદ શેઠનો નાનો ભાઈ મુંબી જાય છે ને, એણે આ રમકડાં મોકલ્યાં—’

‘કોને? બીજલને?’

'ના, ના, બટુકને… વાઘણિયે મોકલાવ્યાં’તાં, એમાંથી ઓતમચંદ શેઠ આટલાં બીજલ સારુ લેતા આવ્યા—’

ચંપાને સમજાઈ ગયું… ઘણું ઘણું સમજાઈ ગયું. આજ સુધી મનમાં ઘોળાઈ રહેલ શંકાઓ અને સંશયો પણ દૂર થઈ ગયાં. ઓતમચંદ શેઠની અને નરોત્તમની નૂતન સમૃદ્ધિની સાંભળેલી વાતો અને હવે કીલાભાઈએ પેલા ‘મજૂર’ની મુંબઈની ખેપ વિશે જે વાત કરેલી એમાં પણ તથ્ય જણાયું.

શંકાઓનું નિવારણ થયા પછી ચંપા એક પ્રકારનો રોમાંચ પણ અનુભવી રહી. હીરબાઈએ જોવા આપેલા રમકડાનું એણે ફરી ફરીને નિરીક્ષણ કર્યું. ફરી ફરીને એને નખશિખ નિહાળી જોયું… આ રમકડું ચંપાના પ્રિય પાત્રે મોકલ્યું હતું. કોને માટે મોકલાવ્યું છે, એની શી ચિંતા? અત્યારે, એ મોકલનારની એક વેળાની વાગ્દત્તાના હાથમાં સાવ આકસ્મિક રીતે આવી પડ્યું હતું અને એમાં શાનું આલેખન હતું?—એક સ્ત્રી અને એક પુરુષનું. ભલે ને એ આકૃતિઓ પરાયા દેશનાં પરાયાં પ્રજાજનોની રહી! એ પ્રતીક તો ચિરંતન પુરુષ અને ચિરંતન નારીનું જ હતું ને!

હું એને નહીં પરણું !
૩૧૭