પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આડા વહેરની હડફેટે
૨૬૩
 

 દીધાં હતાં.

પદમ શેઠને વારસ તરીકે પ્રસ્થાપિત કરવામાં અમરત પૂરેપૂરી સફળ થઈ ગઈ. એ પ્રતિષ્ઠાવિધિમાં વિઘ્ન ઊભું કરવાની શક્તિ તો એક માત્ર ચતરભજમાં હતી. પણ એને તો અમરતે વારસાગત મુનીમપદની લાલચ આપીને ક્યારનાય મોઢે ડૂચા દાબી દીધા હતા.

નંદન ખુશખુશાલ છે. અમરતની શક્તિઓ ઉપર એ આફરીન છે. આટલી સફળ કાર્ય સિદ્ધિ તો ખુદ નંદને પણ નહોતી કલ્પી. આજે પોતે ખરેખર આ ઘરની ધણિયાણી બની બેઠી છે અને એ સંપ્રાપ્તિ બદલ કિમ્મત તરીકે, અમરતના મહેનતાણા પેટે ચૂકવવી પડેલી ચંપા તો નંદનને કાંઈ વિસાતમાં નથી લાગતી. ઊલટાનું પેઢીમાં દલુનો પગદંડો જામવાથી ચંપાનું સ્થાન પણ ઘરમાં નંદનનું સમોવડિયું થઈ પડ્યું છે. પોતાની નાની બહેનને સુખી દેખીને નંદન સંતોષ અનુભવે છે.

અસંતોષ તો એક માત્ર માનવંતીને છે. રિખવના મૃત્યુ ટાણે જેટલો ઘા નહોતો લાગ્યો, એટલો ઘા માનવંતીને અત્યારે – પીંખાતા માળા જેવી ઘરની દુર્દશા થતી જોઈને — લાગી રહ્યો છે. ઓછામાં પૂરું વળી નંદન, પોતાને આજ દિવસ સુધી ખમવી પડેલી યાતનાઓનો સરવાળો કરીને એનું સામટું વેર મોટી બહેન ઉપર વાળી રહી છે. ‘માનવંતી તારી પાસે રોટલો ભીખતી આવે એવી અમરતે ઉચ્ચારેલી આગાહીને નંદન ચરિતાર્થ કરવા મથી ૨હી છે.

માત્ર એક સુલેખા નંદનના સપાટામાં નથી આવી. નાટકના આ દૃશ્યપલટાથી પણ સુલેખાને કશો હર્ષ શોક નથી થઈ શક્યો એ જોઈને નંદન સમસમી રહી છે. પોતાનો વારસાહક ચાલ્યા જવા બદલ પણ સુલેખાને કશો વસવસો નથી એ જોઈને નંદનને પોતાના દિગ્વિજયનો અર્ધો આનંદ ઓસરી જતો લાગ્યો.

પદ્મકાન્ત નાનપણથી જ કજિયાળો બહુ હતો તેથી એને