મહીડું મથવાને ઊઠ્યા જશોદારાણી

વિકિસ્રોતમાંથી
મહીડું મથવાને ઊઠ્યા જશોદારાણી
નરસિંહ મહેતા



મહીડું મથવાને ઊઠ્યા જશોદારાણી


મહીડું મથવાને ઊઠ્યા જશોદારાણી;
વિસામો દેવાને ઊઠ્યા સારંગપાણી. – મહીડું. ૧
માતા રે જશોદા તારું મહીડું વલોવું;
બીશો માં માતાજી ! ગોળી નહીં ફોડું. – મહીડું.૨
ધ્રૂજયો મેરુ રે એને ધ્રાસકો લાગ્યો;
રવૈયો કરશે તો નિશ્ચે હું ભાગ્યો. – મહીડું. ૩
વાસુકિ ભણે; ‘મારી શી પેર થાશે ?
મારું નેતરું કરશે તો જીવડો જાશે.’ – મહીડું. ૪
રત્નાકર કહે; ‘મુજ રતન નથી,
ઠાલો વલોવશે મુને ગોકુળપતિ.’ – મહીડું. ૫
બ્રહ્મા ઇંદ્રાદિક વળતાં લાગ્યા રે પાય;
‘નેતરૂ મૂકો તમે ગોકુળા રાય !’ – મહીડું. ૬
જશોદાજી કહે; ‘હું તો નવનિધ પામી,
ભક્તવત્સલ મળ્યો નરસિયાનો સ્વામી.’ – મહીડું. ૭