મારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : ઘીની માંગણી

વિકિસ્રોતમાંથી
← અનુભવ ત્રીજો : ખોરાક મારો જેલનો અનુભવ
અનુભવ ત્રીજો : ઘીની માંગણી
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ ત્રીજો : અરજી →


ઘીની માંગણી.

ડૉક્ટરની પાસે મેં બધા હિન્દી કેદીઓને સારૂ ચરબીની અવેજીમાં ઘીની માંગણી કરી. વડો દારોગો હાજર હતો તેણે કહ્યું, "ગાંધીની માંગણી બરાબર નથી. આજ સુધી ઘણા ખરા હિન્દીએ ચરબી ખાધી છે, અને ગોસ્ત પણ ખાધું છે. જેઓ ચરબી નથી લેતા તેને હવે સૂક્કા ચાવલ મળે છે, તે બધા ખૂશીથી ખાય છે. જ્યારે સત્યાગ્રહી કેદીઓ હતા ત્યારે તેઓએ પણ ખાધા હતા. તેઓનું વજન દાખલ થતી વેળાએ લીધું હતું અને છોડતી વેળાએ પણ લીધેલું. છૂટતી વખતે તે બધા વજનથી વધ્યા હતા." ડાક્ટરે પૂછ્યું, "બોલ હવે તું શું કહે છે?" મેં કહ્યું, "આ વાત મને ગળે ઉતરતી નથી, છતાં મારે વિષે તો હું કહું છું કે જો મારે બિલકુલ ઘી વગર જવું પડશે તો મારી તબિયત જરૂર બગડશે." ડાક્ટર બોલ્યા, "ત્યારે તારે સારુ હું હુકમ કરું છું." મેં કહ્યું, "હું ઉપકાર માનું છું. પણ મેં ખાસ મારે સારૂ અરજી નથી કરી. જ્યાં લગી ઘીનો હુકમ બધાને મળે નહિ ત્યાં લગી મારાથી રોટી નહિ લેવાય." ત્યારે દાક્તરે કહ્યું, "હવે તું મને દોષ ન દેજે."