મેહેલ પીતાંબર, અંબર માહરૂં

વિકિસ્રોતમાંથી
મેહેલ પીતાંબર, અંબર માહરૂં
નરસિંહ મહેતા



મેહેલ પીતાંબર, અંબર માહરૂં, સુરજ ઉગ્યો સુઈ ક્યમ રહીએ;
અમ ઘર સાસુ નણંદ જૂઠી વસે, કંથ પૂછે ત્યારે શુરે કહીએ.
સાવજ શબ્દ કરે અતિ સુંદર, દીપક તેજ તો ક્ષીણ થાએ;
કંઠથી કુસુમનો હાર કરમાઈયો, બાહેર રાગ પંચમ ગાયે.
તું તારે મંદિરે, પ્રેમશું પોઢીઓ, માહરે મંદિર દૂર જાવું;
લોકની લાજ, લોપીરે લક્ષ્મીવર, હું રે વળતી હવે નહીં રે આવું.

ધેન દોહોવી ઘેરરે, વાછરૂ વલવલે, મહીરે વલોવવું આજ માહારે;
કંઠથી બાહર કાઢિ કમલાપતિ, કાલ આવે હવે કોણ તારે.
સુરત સંગ્રામની, શાંતિજ હુઈ, રહીરે ઉજાગરી, શીશ નામી;
નરસિંહાચો સ્વામી સુખસાગર પોઢિયો, વિરહની વેદના ત્યારે વામી.