રસધાર ૨/નિવેદન

વિકિસ્રોતમાંથી
સૌરાષ્ટ્રની રસધાર ૨
નિવેદન
ઝવેરચંદ મેઘાણી
સૌરાષ્ટ્રની રસધાર ૨/૧. ધૂંધળીનાથ અને સિદ્ધનાથ →


પ્રકાશકનું નિવેદન

'સૌરાષ્ટ્રની રસધાર'નો પહલો ભાગ સહુ પ્રથમ ૧૯૨૩માં બહાર પડ્યો હતો, અને પાંચમો ભાગ ૧૯૨૮માં. આમ ૧૯૭૮માં આ પુસ્તકોની સુવર્ણજયંતી હતી. આ સુલભ આવૃત્તિ બહાર પાડવાની અમારી ઈચ્છા કાગળની અછત અને મોંઘવારીને લીધે ત્યારે પાર ન પડી. અાજે, બે વરસ પછી, થોડી અનુકુળતા થઈ છે તેથી આ સસ્તી સુવર્ણજયંતી આવૃત્તિ પ્રગટ કરતાં લેખકનું કુટુંબ આનંદ અનુભવે છે.

આ કથાઓમાં આવતા દુહા-છંદોમાં કેટલીક ભૂલો અગાઉનાં મુદ્રણો વખતે શિથિલ પ્રફવાચનને કારણે ઉત્તરોઉત્તર દાખલ થઈ ગઈ હશે અને કેટલાક મૂળ પાઠ જ ક્ષતિવાળા હશે એ વાત તરફ ડિંગળી સાહિત્યના અભ્યાસી શ્રી રતુભાઈ રોહડિયાએ અમારું ધ્યાન દોર્યું અને આવી ભૂલો તારવી આપી. આ પછી પહેલાથી છેલ્લા પાના સુધીના તમામ કાવ્યાંશોની શુદ્ધિ તપાસી લેવાનું અમે યોગ્ય ધાર્યું. શ્રી રતુભાઈ રાહડિયા ઉપરાંત શ્રી તખતદાન રોહડિયાએ સૂચવેલાં ક્ષતિઓ-પાઠાન્તરો શ્રી મકરન્દ દવેની વિવેકવતી સરાણે ચડીને પાર ઊતર્યાં અને આ આવૃત્તિમાં સમાવી લીધાં છે. આ દરમિયાન કેટલીક શંકાઓ ઊભી થઈ એ અંગેની સ્પષ્ટતાએ શ્રી બળદેવભાઈ નરેલાએ અને શ્રી જયમલ્લ પરમારે પૂરી પાડી છે 'રસધાર'ના ત્રીજા ભાગને છેડે ( અને ચોથા ભાગની ત્રીજી આવૃત્તિને અંતે ) તળપદા સોરઠી શબ્દો અને રૂઢિપ્રયેાગોના અર્થો આપ્યા છે. આ કથાઓમાં આવતા બીજા અનેક શબ્દો અને રૂઢિપ્રયાગેાના અર્થો આટલા કાળાન્તરે ઉમેરવા જેવા લાગ્યા એ શ્રી ખોડીદાસ પરમારે તૈયાર કરી આપ્યા; એનો ઉપયોગ કરીને આ અર્થ સારણી વિસ્તારી છે. આ ઉમેરણને પણ શ્રી મકરન્દ દવેની ચકાસણીને લાભ મળ્યો છે. 'રસધાર' ની આ આવૃત્તિ હવે આમ વિશેષ પ્રમાણભૂત બને છે એમાં આ સહુ મિત્રો-સ્નેહીઓના ઝાઝા હાથ રળિયામણા નીવડયા છે, એમાં એમનો 'રસધાર' અને તેના લેખક પ્રત્યેને ઊંચો પ્રેમાદર જોઈએ છીએ અને અમારે આભાર વ્યક્ત કરીએ છીએ. છેલ્લી કેટલીક આવૃત્તિઓથી બાદ દેવાયેલ પ્રવેશક આ આવૃત્તિમાં ફરી સામેલ કર્યો છે. પ્રવેશક અને સોરઠી શબ્દોના કોશનું સ્થાન અગાઉની આવૃત્તિઓમાં ત્રીજા ભાગમાં રહ્યું છે એ આ આવૃત્તિમાં પણ તેમનું તેમ રાખ્યું છે.

પુસ્તકોનાં દામ આસમાને પહોંચ્યાં છે ત્યારે ગુજરાતની આ લાડીલી ચોપડીઓ તેના આગોતરા ગ્રાહકોને વર્તમાન બજારધોરણ કરતાં ત્રીજા ભાગની કિંમતે સુલભ કરી શકયા છીએ તેને અમને સતેિાષ છે,


ર૮ એાગરટ , ૧૯૮૦ : ૮૪મી મેઘાણી જયન્તી
લેખકનું નિવેદન


[ બીજી આવૃત્તિ ]


સાત વર્ષ પર લખાયેલી પહેલી આવૃત્તિમાં ઘણો કૃથો હતો તે કાઢી નાખ્યો છે. લખાવટ બીજી 'રસધારો'ની કક્ષામાં આણી છે. સુધારાવધારા કર્યા છે. પહેલી બે કથાઓનાં ૪૨ પાનાં નવીન ઉમેરેલાં છે. 'આઈ જાસલ' શ્રી જગજીવન કા. પાઠકની લખેલી કથા છે. આ આવૃત્તિમાં પણ એ રહેવા દેવા બદલ તેમનો આભાર માનું છું.

ઝ. મે.
કાર્તિકી પૂનમ : સં. ૧૯૮૭ ઝ. મે.
[ પહેલી આવૃત્તિ ]

'રસધાર'ના પ્રથમ ભાગની તારીફ કરનારાઓ તો મળ્યા એ પરમાત્માની કરુણા, પરંતુ એની ત્રુટિઓ બતાવનારા બે સ્નેહીઓની સલાહ મને તારીફ જેટલી જ મીઠી લાગી છે. સૌરાષ્ટ્રની જૂની વાર્તાઓમાં સાંગોપાંગ સેરઠી શબ્દ-પ્રયોગ, સોરઠી અલંકારો અને શૈલીનો ઝોક પણ સોરઠી હોવે જોઈએ, એ એમની ભલામણ હતી. મેં આ ભાગમાં એને અનુસરવાને યત્ન કર્યો છે. બિન-સૌરાષ્ટ્રીઓને સહાયક બનવા જેવો તેવો કોશ પણ આપ્યો છે.

આ સંગ્રહમાં એકેક ગામડાનું ઐતિહાસિક પાત્ર ઊભું છે. દંતકથા પણ અણલખ્યો અને અણશેાધ્યો ઈતિહાસ જ છે. એને નવલકથા બનાવવા માટે વર્ણ નેથી કે કલ્પિત વાર્તાલાપોથી લાદવા કરતાં પ્રત્યેક પાત્રને એની સાદી રીતે જ મૂકવું સારું. તમામ વાર્તામાં પાત્રોના વિકાસ નથી કારણ કે એ પાત્રોનાં જીવનની માત્ર એક-બે ધટનાઓ જ હાથ લાગે છે, બાકી બધી અંધકારમાં વીંટળાયેલ હોય છે. વળી તમામ વીર-વીરાંગનાઓનાં જીવન સર્વાંગ સુંદર પણ ન હોય કેમ કે એ યુગ અસ્થિરતાનો હતો. અાંહીં બતાવેલી તેઓની ભવ્યતા તે જીવની અમુક દિશા પૂરતી જ સમજવી.

ઝવેરચંદ મેઘાણી
જુલાઈ ૧૯૨૪