સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૨. ’જેને રામ રાખે’

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨૧. પોલાકે ઝંપલાવ્યું સત્યના પ્રયોગો અથવા આત્મકથા
‘જેને રામ રાખે’
મોહનદાસ કરમચંદ ગાંધી
૨૩. ઘરમાં ફેરફારો ને બાળકેળવણી →


૨૨. ‘જેને રામ રાખે’

હવે તુરતમાં દેશ જવાની અથવા તો ત્યાં જઇને સ્થિર થવાની આશા મેં છોડી હતી. હું તો પત્નીને એક વર્ષની ધીરજ દઇને દક્ષિણ આફ્રિકા પાછો આવ્યો હતો. વર્ષ તો વીત્યું ને મારું પાછું ફરવાનું દૂર થયું, તેથી છોકરાંને બોલાવવાનો નિશ્ચય કર્યો.

છોકરાં આવ્યાં. તેમાં મારો ત્રીજો દીકરો રામદાસ પણ હતો. તે રસ્તે સ્ટીમરના નાખુદાની સાથે ખૂબ હળી ગયો હતો, ને તેની સાથે રમતાં તેનો હાથ ભાગ્યો હતો. કપ્તાને તેની બરદાસ ખૂબ કરી હતી. દાક્તરે હાડકું સાંધ્યું હતું, ને જ્યારે તે જોહાનિસબર્ગ પહોંચ્યો ત્યારે તેનો હાથ લાકડાની પાટલી વચ્ચે બાંધી રૂમાલની ગળાઝોળીમાં અધ્ધર રાખેલો હતો. સ્ટીમરના દાક્તરની ભલામણ હતી કે જખમ કોઇ દાક્તરની પાસે દુરસ્ત કરાવવો.

પણ મારો આ કાળ તો ધમધોકાર માટીના પ્રયોગો કરવાનો હતો. મારે જે અસીલોને મારા ઊંટવૈદા ઉપર વિશ્વાસ હતો તેમની પાસે પણ હું માટીના ને પાણીના પ્રયોગો કરાવતો. રામદાસને સારુ બીજું શું થાય ? રામદાસની ઉંમર આઠ વર્ષની હતી. 'હું તારા જખમની સારવાર જાતે કરું તો તું ગભરાશે તો નહીં,' એમ મેં તેને પૂછ્યું. રામદાસે હસીને મને પ્રયોગ કરવાની રજા આપી. જોકે એ અવસ્થાએ તેને સારાસારની ખબર ન પડે, તોપણ દાક્તર અને ઊંટવૈદનો ભેદ તો તે સારી પેઠે જાણતો હતો. છતાં તેને મારા પ્રયોગો વિષે ખબર હતી ને મારા ઉપર વિશ્વાસ હતો એટલે તે નિર્ભય રહ્યો.

ધ્રૂજતાં ધ્રૂજતાં મેં તેનો પાટો ખોલ્યો, જખમને સાફ કર્યો, ને સાફ માટીની લોપરી મૂકી જેમ પહેલાં બાંધ્યો હતો તેમ પાટો બાંધી લીધો. આમ હંમેશા હું જાતે જખમ સાફ કરતો ને માટી મૂકતો. મહિના માસમાં જખમ તદ્દન રુઝાઇ ગયો. કોઇ દિવસે કશું વિઘ્ન ન આવ્યું ને દિવસે દિવસે જખમ રૂઝતો ગયો. દાક્તરી મલમપટ્ટીથી પણ એટલો સમય તો જશે જ એમ સ્ટીમરના દાક્તરે કહેરાવ્યું હતું.

આ ઘરગથું ઉપચારો વિષે મારો વિશ્વાસ અને તેનો અમલ કરવાની મારી હિંમત વધ્યાં. આ પછી મેં પ્રયોગોનું ક્ષેત્ર ખૂબ વધાર્યું. જખમો, તાવ, અજીર્ણં, કમળો, ઇત્યાદિ દર્દોને સારુ માટીના, પાણીના ને અપવાસના પ્રયોગો નાનાંમોટાં, સ્ત્રીપુરુષો ઉપર કર્યા અને ઘણાખરા સફળ થયા. આમ છતાં જે હિંમત મને દક્ષિણ આફ્રિકામાં હતી તે અહીં નથી રહી, અને અનુભવે એમ પણ જોયું છે કે આ પ્રયોગોમાં જોખમ રહ્યાં જ છે.

આ પ્રયોગોના વર્ણનનો હેતુ મારા પ્રયોગોની સફળતા સિદ્ધ કરવાનો નથી. એક પણ પ્રયોગ સર્વાંશે સફળ થયો છે એવો દાવો કરી શકાય એમ નથી. દાક્તરો પણ એવો દાવો ન કરી શકે. પણ હેતુ એટલું જ કહેવાનો છે કે, જેને નવા અપરિચિત પ્રયોગો કરવા હોય તેણે પોતાનાથી આરંભ કરવો જોઇએ. આમ થાય તો સત્ય વહેલું પ્રગટ થાય છે ને તેવા પ્રયોગો કરનારને ઇશ્વર ઉગારી લે છે.

માટીના પ્રયોગોમાં જે જોખમો હતાં તે જ યુરોપિયનોના નિકટ સમાગમમાં હતાં. ભેદ માત્ર પ્રકારનો હતો. પણ એ જોખમોનો મને પોતાને વિચાર સરખો પણ નથી આવ્યો.

પોલાકને મારી સાથે જ રહેવાનું નિમંત્રણ આપ્યું ને અમે સગા ભાઇની જેમ રહેવા લાગ્યા. પોલાકને જે બાઇ સાથે તેઓ પરણ્યા તેની સાથે મૈત્રી તો કેટલાંક વર્ષો થયાં હતી. બેન્નેએ સમય આવ્યે વિવાહ કરી લેવાનો નિશ્ચય પણ કર્યો હતો. પણ પોલાક કંઈક દ્રવ્યસંગ્રહની રાહ જોતા હતા એવું મને સ્મરણ છે. રસ્કિનનો તેમનો અભ્યાસ મારા કરતાં ઘણો વધારે હતો, પણ પશ્ચિમના વાતાવરણમાં રસ્કિનના વિચારોનો પૂરો અમલ કરવાનું તેમને સૂઝે તેમ ન હતું. મેં દલીલ કરી, 'જેની સાથે હૃદયની ગાંઠ બંધાઇ તેનો વિયોગ કેવળ દ્રવ્યને અભાવે ભોગવવો એ અયોગ્ય ગણાય. તમારે હિસાબે તો ગરીબ કોઇ પરણી જ ન શકે. વળી હવે તમે તો મારી સાથે રહો છો. એટલે ઘરખરચનો સવાલ નથી. તમે વહેલા પરણો એ જ હું તો ઇષ્ટ માનું છું.'

મારે પોલાકની સાથે બે વાર દલીલ કરવાપણું રહ્યું જ નથી. તેમણે તુરત મારી દલીલ ઝીલી લીધી. ભાવિ મિસિસ પોલાક તો વિલાયતમાં હતાં. તેમની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેઓ રાજી થયાં, ને થોડા જ માસમાં વિવાહ કરવા જોહાનિસબર્ગમાં આવી પહોંચ્યાં. વિવાહ ખર્ચ તો કંઇ જ કર્યું નહોતું. વિવાહનો કંઇ ખાસ પોશાક પણ નહોતો. એમને ધર્મવિધિની ગરજ નહોતી. મિસિસ પોલાક જન્મે ખ્રિસ્તી ને પોલાક યહૂદી હતા. બંનેની વચ્ચે જ સામાન્ય ધર્મ હતો તે નીનિધર્મ હતો.

પણ આ વિવાહનો એક રમૂજી પ્રસંગ લખી નાખું. ટ્રાન્સવાલમાં ગોરાઓના વિવાહની નોંધ કરનારા અમલદાર કાળા માણસના વિવાહની નોંધ લે નહીં. આ વિવાહમાં અણવર તો હું હતો. ગોરા મિત્રને અમે શોધી શક્યા હોત, પણ પોલાક તે સહન કરે તેમ નહોતું. તેથી અમે ત્રણે જણ અમલદારની પાસે હાજર થયા. હું જેમાં અણવર હોઉં એ વિવાહ બંને પક્ષે ગોરા જ હોય એવી અમલદારને શી ખાતરી ! તેણે તપાસ કરવા ઉપર મુલતવી રાખવા માગ્યું. વળતે દિવસે નાતાલનો તહેવાર હતો. ઘોડે ચડેલાં સ્ત્રીપુરુષના વિવાહની નોંધ તારીખ આમ બદલાય એ સહુને અસહ્ય લાગ્યું. વડા માજીસ્ટ્રેટને હં ઓળખતો હતો. તે આ ખાતાનો ઉપરી હતો. હું આ દંપતીને લઇ તેની આગળ હાજર થયો. તે હસ્યો ને મને ચિઠ્ઠી લખી આપી. આમ વિવાહ રજીસ્ટર થયા.

આજ લગી થોડાઘણા પણ પરિચિત ગોરા પુરૂષો મારી સાથે રહેલા. હવે એક પરિચય વિનાની અંગ્રેજ બાઇ કુટુંબમાં દાખલ થઇ. મને પોતાને તો કોઇ દિવસ કશો વિખવાદ થયો હોય એવું યાદ નથી. પણ જ્યાં અનેક જાતિના અને સ્વભાવના હિંદીઓ આવજા કરતા, જ્યાં મારી પત્નીને હજુ આવા અનુભવ જૂજ હતા, ત્યાં તેમને બંનેને કોઇ વાર ઉદ્વેગના પ્રસંગો આવ્યા હશે. પણ એક જ જાતિના કુટુંબને તેવા પ્રસંગો જેટલા આવે તેના કરતાં આ વિજાતીય કુટુંબને વધારે તો આવ્યા નથી જ. બલ્કે, જે આવ્યાનું મને સ્મરણ છે તે પણ નજીવા ગણાય. સજાતીય વિજાતીય એ મનના તરંગો છે. આપણે સૌ એક કુટુંબ જ છીએ.

વેસ્ટના વિવાહ પણ અહીં જ ઊજવી લઉં. જિંદગીના આ કાળે બ્રહ્મચર્ય વિષેના મારા વિચારો પાકા નહોતા થયા. તેથી મારો ધંધો કુંવારા મિત્રોને પરણાવી દેવાનો હતો. વેસ્ટને જ્યારે પિતૃયાત્રા કરવાનો સયમ આવ્યો ત્યારે મેં તેમને બની શકે તો પરણીને જ પાછા આવવાની સલાહ આપી. ફિનિક્સ અમારું બધાનું ઘર થયું હતું ને સૌ ખેડૂત થઈ બેઠા હતા, એટલે વિવાહ કે વંશવૃદ્ધિ ભયનો વિષય નહોતો.

વેસ્ટ લેસ્ટરની એક સુંદર કુમારિકાને પરણી લાવ્યા. આ બાઇનું કુટુંબ લેસ્ટરમાં જોડાનો મોટો ધંધો ચાલે છે તેમાં કામ કરનારું હતું. મિસિસ વેસ્ટે પણ થોડો સમય જોડાના કારખાનામાં ગાળેલો હતો. તેને મેં 'સુંદર' કહેલ છે કેમ કે તેના ગુણનો હું પૂજારી છું, ને ખરું સૌંદર્ય તો ગુણમાં જ હોય. વેસ્ટ પોતાની સાસુને પણ સાથે લાવેલા. આ ભલી ડોસી હજુ જીવે છે. તેના ઉદ્યમથી ને તેના હસમુખા સ્વભાવથી તે અમને બધાને હંમેશા શરમાવતી.

જેમ આ ગોરા મિત્રોને પરણાવ્યા તેમ હિંદી મિત્રોને પોતાનાં કુટુંબોને બોલાવવા ઉત્તેજ્યાં. તેથી ફિનિક્સ એક નાનું સરખું ગામડું થઇ પડ્યું, અને ત્યાં પાંચ સાત હિંદી કુટુંબો વસવા લાગ્યાં ને વૃદ્ધિ પામતાં થયાં.