સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૪. ઝૂલુ ’બળવો’

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨૩. ઘરમાં ફેરફારો ને બાળકેળવણી સત્યના પ્રયોગો અથવા આત્મકથા
ઝૂલુ ‘બળવો’
મોહનદાસ કરમચંદ ગાંધી
૨૫. હૃદયમંથન →


૨૪. ઝૂલુ ‘બળવો’

ઘર માંડીને બેઠા પછી સ્થિર થઈને બેસવાપણું મારે નસીબે રહ્યું જ નથી. જોહાનિસબર્ગમાં હું થાળે પાડ્યા જેવું લાગ્યું તેવી જ અણધારી બિના બની. નાતાલમાં ઝૂલુ 'બળવો' થયાના સમાચાર વાંચ્યા. મને કંઈ ઝુલુ લોકો સાથે વેર નહોતું; તેમણે એક પણ હિંદીનું નુકસાન નહોતું કર્યું. 'બળવા' ની યોગ્યતા વિશે પણ મને શંકા હતી. પણ અંગ્રેજી સલ્તનતને તે કાળે હું જગતનું કલ્યાણ કરનારી સલ્તનત માનતો. મારી વફાદારી હાર્દિક હતી. તે સલ્તનતનો ક્ષય હું ન ઈચ્છતો. એટલે બળ વાપરવા વિશેની નીતિઅનીતિનો વિચાર મારા પગલામાં મને રોકે તેમ નહોતું. નાતાલ ઉપર આપત્તિ આવે તો તેની પાસે રક્ષણને સારુ સ્વયંસેવકોનું લશ્કર હતું. ને આપત્તિ વેળાએ તેમાં કામ પૂરતી ભરતી પણ થાય. મેં વાંચ્યું કે સ્વયંસેવકોનું લશ્કર આ બળવો શમાવવા નીકળી પડ્યું હતું.

મને પોતાને હું નાતાલવાસી ગણતો, ને નાતાલની સાથે મારો નિકટ સંબંધ તો હતો જ. તેથી મેં ગવર્નરને કાગળ લખ્યો કે, જો જરૂર હોત તો જખમીઓની સારવાર કરનારી હિંદીઓની તોલી લઇને હું સેવા કરવા જવા તૈયાર છું. ગવર્નરનો તુરત જ હકારમાં જવાબ આવ્યો. મેં અનુકુળ જવાબની અથવા આટલી ઝડપથી જવાબ ફરી વળવાની આશા રાખી નહોતી, છતાં એ કાગળ લખતાં પહેલા મેં મારી ગોઠવણ તો કરી જ લીધી હતી. એમ ઠરાવ્યું હતું કે, જો ગવર્નર તરફથી માગણીનો સ્વીકાર થાય તો જોહાનિસબર્ગનું ઘર ભાંગી નાખવું, મિ. પોલાકે નોખું, નાનકડું ઘર લઇ રહેવું, ને કસ્તુરબાઈએ ફિનીક્સ જઈ રહેવું. આ યોજનામાં કસ્તુરબાઈની પૂર્ણ સંમતિ મળી. મારાં આવાં પગલાંમાં તેના તરફથી કોઈ દિવસ મને હરકત કરવામાં આવી હોય એવું સ્મરણ નથી. ગવર્નરનો જવાબ વળતા મેં ઘરધણીને ઘર ખાલી કરવા બાબત એક માસની રીતસર ચેતવણી આપી. કેટલોક સામાન ફિનીક્સ ગયો, કેટલોક મિ. પોલાક પાસે રહ્યો.

ડરબન પહોંચતાં મેં માણસો માટે માગણી કરી. મોટી ટુકડીની જરૂર નહોતી. અમે ચોવીસ જાણ તૈયાર થયા. તેમાં મારા ઉપરાંત ચાર ગુજરાતી હતાં, બાકી મદ્રાસ ઇલાકાના ગિરમીટમુક્ત હિંદીઓ હતાં, ને એક પઠાણ હતો.

સ્વમાન જળવાય ને કામ વધારે સગવડપૂર્વક થાય એ સારુ એવો રિવાજ હતી તેથી ઔષધખાતાના મુખ્યાધિકારીએ મને 'સારજંટ મેજર' નો મુદ્દતી હોદ્દો આપ્યો, ને હું પસંદ કરું એવા બીજા ત્રણને 'સારજંટ'નો ને એકને 'કોરપોરલ' નો હોદ્દો આપ્યા. પોશાક પણ સરકાર તરફથી જ મળ્યા. આ ટુકડીએ છ અઠવાડિયાં સતત સેવા કરી એમ કહી શકું છુ.

'બળવા' ના સ્થળ ઉપર પહોંચતા મેં જોયું કે બળવા જેવું તો કંઈ ણ કહેવાય. કોઈ સામે થતું હતું એમ જોવામાં ણ આવ્યું. બળવો માનવાનું કારણ એ હતું કે એક ઝૂલુ સરદારે ઝૂલુ લોકોની ઉપર મુકાયેલો નવો કર ણ આપવાની તેમને સલાહ આપી હતી, અને કર ઉઘરાવવા ગયેલા એક સારજંટને તેણે કાપી નાખ્યો હતો. ગમે તે હો, મારું હૃદય તો ઝૂલુઓની તરફ હતું. અને મથક ઉપર પહોંચતાં જયારે અમારે ભાગે મુખ્યત્વે ઝૂલુ જખમીઓની સારવાર કરવાનું જ કામ આવ્યું ત્યારે હું બહુ રાજી થયો. દાક્તર અમલદારે અમને વધાવી લીધા. તેણે કહ્યું, 'ગોરા કોઈ આ ખમીઓની સારવાર કરવા તૈયાર નથી થતા. હું એકલો કોને પહોંચું? તેમના જખમ સડે છે. હવે તમે આવ્યા એ તો હું આ નિર્દોષ લોકો ઉપર ઈશ્વરની કૃપા જ થઇ સમજુ છું.' આમ કહી મને પાટા, જંતુનાશક પાણી વગેરે આપ્યું ને પેલા દરદીઓની પાસે લઇ ગયો. દરદીઓ અમને કોઈને ખુશ થઇ ગયા. ગોરા સિપાહીઓ જાળિયામાંથી ડોકિયા કરી અમને જખમો સાફ કરતા રોકવાનો પ્રયત્ન કરે, અમે ના માનીએ એટલે ચિડાય, અને ઝૂલુઓને વિશે જે ભૂંડા શબ્દો બોલે તેથી તો કાનના કીડા ખરે.

ધીમે ધીમે આ સિપાહીઓ સાથે પણ મારો પરિચય થયો ને મને રોકતા બંધ પડ્યા. આ લશ્કરમાં સને ૧૮૯૬માં મારો સખત વિરોધ કરનાર કર્નલ સ્પાકર્સ અને કર્નલ વાયલી હતાં. તેઓ મારા પગલાથી આશ્ચર્યચકિત થયા. મને ખાસ બોલાવીને મારો ઉપકાર માન્યો. મને જનરલ મેકેન્ઝીની પાસે પણ લઇ ગયા ને તેની ઓળખાણ કરાવી.

આમાંના કોઈ ધંધે સિપાહી હતાં એમ વાંચનાર ણ મને. કર્નલ વાયલી ધંધે જાણીતા વકીલ હતાં. કર્નલ સ્પાકર્સ કતલખાનાંના જાણીતા માલેક હતાં. જનરલ મેકેન્ઝી નાતાલના જાણીતા ખેડૂત હતાં.આ બધા સ્વયંસેવક હતા, ને સ્વયંસેવક તરીકે તેમણે લશ્કરી તાલીમ અને અનુભવ મેળવ્યાં હતાં.

જે દરદીઓની સારવારનું કામ અમને સોંપવામાં આવ્યું હતું તેમણે લડાઈમાં જખમી થયેલા કોઈ ન માને. આમાંનો એક ભાવ શકથી પકડાયેલા કેદીઓનો હતો. તેમને જનરલે ચાબખા ખાવાની સજા કરી હતી. આ ચાબખાથી પડેલા ઘા સારવારને અભાવે પાકી ઉઠ્યા હતાં. બીજો ભાગ જેઓ ઝૂલુ મિત્રો ગણાતા તેમનો હતો. આ મિત્રોને તેમણે મિત્રતા દર્શાવનારા નિશાન પહેર્યા હતાં તોપણ ભૂલથી સિપાહીઓએ ઘાયલ કર્યા હતાં.

આ ઉપરાંત માને પોતાને ગોરા સિપાહીઓને સારુ પણ દવા મેળવવાનું ને તમને દવા આપવાનું કામ સોંપવામાં આવ્યું હતું. દાક્તર બૂથની નાનકડી ઈસ્પિતાલમાં આ કામની મેં એક વર્ષ તાલીમ લીધી હતી તેથી મારે સારુ એ સહેલું કામ હતું. આ કામે માને ઘણા ગોરાઓનો સારો પરિચય કરાવ્યો.

પણ લડાઈમાં રોકાયેલું લશ્કર કંઈ એક સ્થળે બેસી ન રહે. જ્યાંથી ભયના સમાચાર આવે ત્યાં દોડી જાય. ઘણા તો ઘોડેસવાર જ હતા. અમારી છાવણી મથકેથી ઊપડી, ને અમારે તેની પાછળ અમારી ડોળીઓ ખાંધે ઉપાડી ચાલવાનું રહ્યું હતું. બેત્રણ પ્રસંગે તો એકે દિવસે ચાળીસ માઈલની કૂચ કરવાનો વારો આવ્યો હતો. અહી પણ અમને કેવળ પ્રભુનું જ કામ મળ્યું. ઝૂલુ મિત્રો ભૂલથી ઘવાયેલા તેમણે ડોળીઓમાં ઊંચકી જઈ છાવણીમાં પહોચાડવાના હતાં ને ત્યાં તેમની સારવાર કરવાની હતી.