સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧૩. આખરે વિલાયતમાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૨. નાતબહાર સત્યના પ્રયોગો અથવા આત્મકથા
આખરે વિલાયતમાં
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૪. મારી પસંદગી →


૧૩. આખરે વિલાયતમાં

સ્ટીમરમાં મને દરિયો તો જરાયે ન લાગ્યો. પણ જેમ દિવસ જાય તેમ હું મૂઝાતો જાઉં. 'સ્ટુઅર્ડ'ની સાથે બોલતાં શરમ લાગે. અંગ્રેજીમાં વાત કરવાની મને ટેવ જ નહોતી. મજમુદાર સિવાયના બીજા મુસાફરો અંગ્રેજ હતા. તેમની સાથે બોલતાં ન આવડે. તેઓ મારી સાથે બોલવાનો પ્રયત્ન કરે તો હું સમજું નહિ, ને સમજું ત્યારે જવાબ કેમ દેવો એની ગમ ન પડે. દરેક વાક્ય બોલતાં પહેલાં મનમાં ગોઠવવું જોઇએ. કાંટાચમચા વડે ખાંતા ન આવડે, અને કઈ વસ્તુ માંસ વિનાની હોય એ પૂછવાની હિંમત ન ચાલે. એટલે હું ખાણાના ટેબલ ઉપર તો કદી ગયો જ નહીં. કોટડીમાં જ ખાતો. મુખ્યત્વે મારી સાથે મીઠાઇ વગેરે લીધાં હતાં તેની ઉપર જ નિભાવ કર્યો. મજમુદારને તો કશોય સંકોચ નહોતો. તે તો સૌની સાથે ભળી ગયેલા. ડેક ઉપર પણ છૂટથી જાય. હું તો આખો દહાડો કોટડીમાં ભરાઇ રહું. કવચિત્ ડેક ઉપર માણસો થોડા હોય તે વેળા થોડી વાર ત્યાં બેસી આવું. મજમુદાર મને બધાની સાથે ભળી જવાનું, છૂટથી વાતો કરવાનું સમજાવે; વકીલની જીભ છૂટી હોવી જોઇએ એમ પણ મને કહે; પોતાના વકીલ તરીકેના અનુભવો વર્ણવે; અંગ્રેજી આપણી ભાષા ન કહેવાય, તેમાં ભૂલ તો પડે જ, છતાં બોલવાની છૂટ રાખવી જોઇએ વગેરે કહે. પણ હું મારી ભીરુતા ન છોડી શકું.

મારી દયા ખાઇ એક ભલા અંગ્રેજ મારી જોડે વાતો શરૂ કરી. પોતે ઉંમરે મોટા હતા. હું શું ખાઉં છું, કોણ છું, ક્યાં જાઉં છું, કેમ કોઇની સાથે વાતચીત કરતો નથી, વગેરે સવાલ પૂછે. મને ખાવા ઉપર જવાનું સૂચવે. માંસ ન ખાવાના મારા આગ્રહ વિષે સાંભળી તે હસ્યા ને મારી દયા લાવી બોલ્યા: "અહીં તો(પોર્ટ સેડ પહોંચ્યા પહેલાં) ઠીક જ છે, પણ બિસ્કેના ઉપસાગરમાં પહોંચીશ ત્યારે તું તારા વિચાર ફેરવીશ. ઇંગ્લંડમાં તો એટલી ટાઢ પડે છે કે માંસ વિના ન જ ચાલે."

મેં કહ્યું, "મેં સાંભળ્યું છે કે ત્યાં લોકો માંસાહાર વિના રહી શકે છે."

તેઓ બોલ્યા, "એ ખોટી વાત માનજે. મારી ઓળખાણના એવા કોઇને હું નથી જાણતો કે જે માંસાહાર ન કરતા હોય. જો, હું દારૂ પીઉં છું તે પીવાનું તને નથી કહેતો, પણ માંસાહાર તો કરવો જોઇએ એમ મને લાગે છે."

મેં કહ્યું, "તમારી સલાહને સારુ હું આભાર માનું છું. પણ તે ન લેવા હું મારા માતુશ્રીની સાથે બંધાયેલો છું. તેથી તે મારાથી ન લેવાય. જો તે વિના નહીં જ ચાલતું હોય તો હું પાછો હિંદુસ્તાન જઈશ, પણ માંસ તો નહીં જ ખાઉં."

બિસ્કેનો ઉપસાગર આવ્યો. ત્યાં પણ મને તો ન જરૂર જણાઇ માંસની કે ન જણાઇ મદિરાની. માંસ ન ખાધાનાં પ્રમાણપત્રો એકઠાં કરવાની મને ભલામણ થઈ હતી. તેથી આ અગ્રેજ મિત્રની પાસેથી મેં પ્રમાણપત્ર માગ્યું. તેમણે તે ખુશીથી આપ્યું. તે મેં કેટલોક સમય સુધી ધનની જેમ સંઘરી રાખેલું. પાછળથી મને ખબર પડી કે પ્રમાણપત્રો તો માંસ ખાતા છતાંય મેળવાય છે, એટલે તેના ઉપરનો મારો મોહ નાશ પામ્યો. જો મારા શબ્દ ઉપર વિશ્વાશ ન હોય તો આવી બાબતમાં પ્રમાણપત્ર બતાવીને મારે શો લાભ ઉઠાવવો હોય?

સુખદુ:ખે મુસાફરી પૂરી કરી સાઉધેમ્પ્ટન બંદર ઉપર અમે આવી પહોંચ્યા. આ શનિવાર હતો એવું મને સ્મરણ છે. હું સ્ટીમર ઉપર કાળાં કપડાં પહેરતો. મિત્રોએ મારે સારુ એક સફેદ ફ્લાલીનનાં કોટપાટલૂન પણ કરાવ્યાં હતાં. તે મેં વિલાયતમાં ઊતરતાં પહેરવા ધારેલું, એમ સમજીને કે સફેદ કપડાં વધારે શોભે! હું આ ફ્લાલીનનાં કપડાં પહેરીને ઊતર્યો. સપ્ટેમ્બરના આખરના દિવસો હતા. આવાં કપડાં પહેરનારો મને એકલાને જ જોયો. મારી પેટીઓ અને તેની ચાવીઓ તો ગ્રિન્ડલે કંપનીના ગુમાસ્તા લઈ ગયા હતા. સહુ કરે તેમ મારે પણ કરવું જોઇએ એમ સમજીને મેં તો મારી ચાવીઓ પણ આપી દીધેલી!

મારી પાસે ભલામણના ચાર કાગળો હતા: દાક્તર પ્રાણજીવન મહેતા ઉપર, દલપતરામ શુક્લ ઉપર, પ્રિન્સ રણજિતસિંહજી ઉપર અને દાદાભાઇ નવરોજી ઉપર. મેં દાક્તર મહેતાની ઉપર સાઉધેમ્પ્ટનથી તાર કરેલો. સ્ટીમરમાં કોઇએ સલાહ આપેલી કે વિક્ટોરિયા હોટેલમાં ઊતરવું. તેથી મજમુદાર અને હું હોટલમાં ગયા. હું તો મારા સફેદ કપડાંની શરમમાં સમસમી રહ્યો હતો. વળી હોટલમાં જતાં ખબર પડી કે વળતો દિવસ રવિવારનો હોવાથી સોમવાર લગી ગ્રિન્ડલેને ત્યાંથી સામાન નહીં આવે. આથી હું મૂંઝાયો.

સાતઆઠ વાગ્યે દાક્તર મહેતા આવ્યા. તેમણે પ્રેમમય વિનોદ કર્યો. મેં અજાણતાં એમની રેશમનાં રૂંવાંવાળી ટોપી જોવા ખાતર ઉપાડી, અને તેના ઉપર ઊલટો હાથ ફેરવ્યો. એટલે ટોપીનાં રૂંવાં ઊભાં થયાં. દાક્તર મહેતાએ જોયું. તરત જ મને અટકાવ્યો, પણ ગુનો તો થઈ ચૂક્યો હતો. ફરી પાછો ન થાય એટલું જ તેમના અટકાવવાનું પરિણામ આવી શક્યું.

અહીંથી યુરોપના રીતરિવાજો વિષેનો મારો પહેલો પાઠ શરૂ થયો ગણાય. દાક્તર મહેતા હસતા જાય અને ઘણી વાતો સમજાવતા જાય. કોઇની વસ્તુને ન અડકાય; જે પ્રશ્નો કોઇ જોડે ઓળખાણ થતાં હિંદુસ્તાનમાં સહેજે પૂછી શકાય છે એવા પ્રશ્નો અહીં ન પુછાય; વાતો કરતાં ઊંચો સાદ ન કઢાય; હિંદુસ્તાનમાં સાહેબોની સાથે વાત કરતાં 'સર' કહેવાનો રિવાજ છે એ અનાવશ્યક છે, 'સર' તો નોકર પોતાના શેઠને અથવા પોતાના ઉપરી અમલદારને કહે. વળી તેમણે હોટેલમાં રહેવાના ખરચની પણ વાત કરી અને સૂચવ્યું કે કોઇ ખાનગી કુટુંબમાં રહેવાની જરૂર પડશે. એ વિષે વધુ વિચાર સોમવાર લગી મુલતવી રહ્યો. કેટલીક ભલામણો આપી દાક્તર મહેતા વિદાય થયા.

હોટેલમાં તો અમને બન્નેને આવી ભરાયા જેવું લાગ્યું. હોટેલ પણ મોંઘી. માલ્ટાથી એક સિંધી ઉતારુ ચડેલા, તેમની સાથે મજમુદાર ઠીક હળી ગયા હતા. આ સિંધી ઉતારુ લંડનના ભોમિયા હતા. તેમણે અમારા સારુ બે કોટડી રોકી લેવાનું માથે લીધું. અમે સંમત થયા અને સોમવારે સામાન મળ્યો તેવા જ બીલ ચૂકવીને પેલા સિંધી ભાઇએ રાખેલી કોટડીઓમાં અમે પ્રવેશ કર્યો. મને યાદ છે કે મારા ભાગમાં હોટેલનું બિલ લગભગ ત્રણ પાઉંડ આવ્યું હતું. હું તો આભો જ બની ગયો. ત્રણ પાઉંડ આપવા છતાં ભૂખ્યો રહ્યો. હોટેલના ખાવામાંનું કંઇ ભાવે નહીં. એક વસ્તુ લીધી તે ન ભાવી. બીજી લીધી. પણ પૈસા તો બન્નેના જ આપવા જોઇએ. મારો આધાર હજુ મુંબઈથી લીધેલા ભાતા ઉપર હતો એમ કહીએ તો ચાલે.

પેલી કોટડીમાં પણ હું તો ખૂબ મૂંઝાયો. દેશ ખૂબ યાદ આવે. માતાનો પ્રેમ મૂર્તિમંત થાય. રાત પડે એટલે રડવાનું શરૂ થાય. ઘરનાં અનેક પ્રકારનાં સ્મરણોની ચડાઇથી નિદ્રા તો શાની આવી જ શકે? આ દુ:ખની વાત કોઇને કરાય પણ નહીં. કરવાથી ફાયદો પણ શો? હું પોતે જાણતો નહોતો કે ક્યા ઇલાજથી મને આશ્વાસન મળે. લોકો વિચિત્ર, રહેણી વિચિત્ર, ઘરો પણ વિચિત્ર. ઘરોમાં રહેવાની રીતભાત પણ તેવી જ. શું બોલતાં ને શું કરતાં એ રીતભાતના નિયમોનો ભંગ થતો હશે એનું પણ થોડું જ ભાન. સાથે ખાવાપીવાની પરહેજી અને ખાઇ શકાય તેવો ખોરાક લૂખો અને રસ વિનાનો લાગે. એટલે મારી દશા સૂડી વચ્ચે સોપારી જેવી થઈ પડી. વિલાયત ગમે નહીં ને પાછા દેશ જવાય નહીં. વિલાયત આવ્યો એટલે ત્રણ વર્ષ પૂરાં કરવાનો જ આગ્રહ હતો.