સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૧૦. કસોટીએ ચડ્યા

વિકિસ્રોતમાંથી
← ૯. આશ્રમની સ્થાપના સત્યના પ્રયોગો અથવા આત્મકથા
૧૦. કસોટીએ ચડ્યા
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૧. ગિરમીટની પ્રથા →


૧૦. કસોટીએ ચડ્યા

આશ્રમની હસ્તીને હજુ થોડા જ મહિના થયા હતા, તેટલામાં જેવી મને આશા નહોતી તેવી અમારી કસોટી થઈ. ભાઈ અમૃતલાલ ઠક્કરનો કાગળ મળ્યો: 'એક ગરીબ અને પ્રામાણિક અંત્યજ કુટુંબ છે. તેની ઇચ્છા તમારા આશ્રમમાં આવી રહેવાની છે. તેને લેશો?'

હું ભડક્યો ખરો. ઠક્કરબાપા જેવાની ભલામણ લઈને આવનાર અંત્યજ કુટુંબ આટલું વહેલું આવે એવી મેં મુદ્દલ આશા રાખી નહોતી. સાથીઓને કાગળ વંચાવ્યો. તેમણે વધાવ્યો. તે કુટુંબ આશ્રમના નિયમ પાળવા તૈયાર હોય તો તેને લેવાની તૈયારી ભાઈ અમૃતલાલ ઠક્કરને જણાવી.

દૂદાભાઈ, તેમનાં પત્ની દાનીબહેન અને રીખતી ધાવણી લક્ષ્મી આવ્યાં. દૂદાભાઈ મુંબઈમાં શિક્ષકનું કામ કરતા હતા. નિયમોનું પાલન કરવા તૈયાર હતા. તેમને આશ્રમમાં લીધા.

સહાયક મિત્રમંડળમાં ખળભળાટ થયો. જે કૂવામાં બંગલાના માલિકનો ભાગ હતો તે કૂવામાંથી પાણી ભરવામાં અડચણ આવવા લાગી. કોસવાળાને અમારા પાણીના છાંટા અડે તો તે અભડાય. તેણે ગાળો શરૂ કરી, દૂદાભાઈને પજવવાનું શરૂ કર્યું. ગાળો સહન કરવાનું ને દઢતાપૂર્વક પાણી ભરવાનું જારી રાખવાનું મેં સહુને કહી દીધું. અમને ગાળ સાંભળતા જોઈ કોસવાળો શરમાયો ને તેણે છેડ મૂકી. પણ પૈસાની મદદ તો બંધ થઈ. જે ભાઈએ આશ્રમના નિયમો પાળનારા અંત્યજોના પ્રવેશ વિશે પ્રથમથી જ શંકા કરી હતી તેમને તો આશ્રમમાં અંત્યજ દાખલ થવાની આશા જ નહોતી. પૈસાની મદદ બંધ પડી. બહિષ્કારની અફવા મારે કાને આવવા માંડી. મેં સાથીઓની સાથે વિચારી મેલ્યું હતું: 'જો આપણો બહિષ્કાર થાય ને આપણી પાસે કશી મદદ ન રહે તોયે આપણે હવે અમદાવદ નહીં છોડીએ. અંત્યજવાડામાં જઈને તેમની સાથે રહીશું, ને જે કંઈ મળી રહેશે તેની ઉપર અથવા મજૂરી કરીને નિર્વાહ કરીશું.'

છેવટે મગનલાલે મને નોટિસ આપી: 'આવતે મહિને આશ્રમખર્ચ ચલાવવાના પૈસા આપણી પાસે નથી.' મેં ધીરજથી જવાબ આપ્યો: 'તો આપણે અંત્યજવાડે રહેવા જઈશું.'

મારી ઉપર આવી ભીડ પહેલી વાર નહોતી. દરેક વારે છેલ્લી ઘડીએ શામળાએ મદદ મોકલી દીધી છે.

મગનલાલે નોટિસ આપ્યા પછી તુરત જ એક સવારે કોઈ બાળકે ખબર આપ્યા: 'બહાર મોટર ઊભી છે, ને એક શેઠ તમને બોલાવે છે.' હું મોટર પાસે ગયો. શેઠે મને પૂછ્યું: 'મારી ઇચ્છા આશ્રમને કંઈ મદદ દેવાની છે, તમે લેશો?' મેં જવાબ આપ્યો: જો કંઈ આપો તો હું જરૂર લઉં. મારે કબૂલ કરવું જોઈએ કે અત્યારે હું ભીડમાં પણ છું.'

'હું કાલે આ જ વેળાએ આવીશ ત્યારે તમે આશ્રમમાં હશો?' મેં હા કહી ને શેઠ ગયા. બીજે દહાડે નીમેલે સમયે મોટરનું ભૂંગળું વાગ્યું. બાળકોએ ખબર આપી. શેઠ અંદર ન આવ્યા. હું તેમને મળવા ગયો. તેઓ મારા હાથમાં રૂ. ૧૩,૦૦૦ની નોટો મૂકી ચાલતા થયા.

આ મદદની મેં કદી આશા નહોતી રાખી. મદદ આપવાની આ રીત પણ નવી ભાળી. તેમણે આશ્રમમાં પહેલાં કદી પગ મૂક્યો નહોતો. તેમને હું એક જ વાર મળ્યો હતો એવું મને યાદ છે. ન આશ્રમમાં આવવું, ન પૂછવું; બારોબાર પૈસા આપીને ચાલતા થવું. મારો પહેલો જ અનુભવ હતો. આ મદદથી અંત્યજવાડામાં જવાનું આળસ્યું. લગભગ એક વર્ષનું ખર્ચ મને મળી ગયું.

પણ જેમ બહાર ખળભળાટ થયો તેમ જ આશ્રમમાંયે થયો. જોકે દક્ષિણ આફ્રિકામાં મારે ત્યાં અંત્યજો વગેરે આવતા, રહેતા, જમતા, પણ અહીં અંત્યજ કુટુંબનું આવવું પત્નીને અને બીજા સ્ત્રીમંડળને ગમ્યું એમ ન કહેવાય. દાનીબહેન પ્રત્યેનો અણગમો નહીં તો તેમના પ્રત્યેની ઉદાસીનતા, એવી બાબતમાં મારી બહુ ઝીણી આંખ જોઈ જતી અને તીણા કાન સાંભળી જતા. આર્થિક મદદના અભાવની બીકે મને જરાયે ચિંતામાં નહોતો નાખ્યો. પણ આ આંતરખળભળાટ વસમો થઈ પડ્યો. દાનીબહેન સામાન્ય બાઈ હતી. દૂદાભાઈનું ભણતર સહજ હતું, પણ તેમની સમજ સારી હતી, તેમની ધીરજ મને ગમી હતી. તેમને કોઈ વેળા ક્રોધ આવતો, પણ એકંદરે તેમની સહનશક્તિની મારા ઉપર સારી છાપ પડેલી. ઝીણાં અપમાનો ગળી જવાનું હું દૂદાભાઈને વીનવતો ને તે સમજી જતા અને દાનીબહેન પાસે સહન કરાવતા.

આ કુટુંબને આશ્રમમાં રાખીને આશ્રમને ઘણા પાઠ મળ્યા છે. અને આરંભકાળમાં જ અસ્પૃશ્યતાને આશ્રમમાં સ્થાન નથી જ એમ સાવ સ્પષ્ટ થઈ જવાથી, આશ્રમની મર્યાદા અંકાઈ ગઈ, ને તેનું કામ એ દિશામાં બહુ સરળ થઈ ગયું. આમ છતાં, આશ્રમને તેનું ખર્ચ, વધતું જતું હોવા છતાં, મુખ્ય ભાગે ચુસ્ત ગણાતા હિંદુઓ તરફથી જ મળતું આવ્યું છે એ કદાચ સ્પષ્ટ રીતે સૂચવે છે કે અસ્પૃશ્યતાની જડ સારી પેઠે હલી ગઈ છે. આના બીજા પુરાવા તો ઘણાયે છે જ. પણ અંત્યજનો સાથે જ્યાં ખાવા સુધીના વહેવાર રાખવામાં આવે છે ત્યાં પણ પોતાને સનાતની માનતા હિંદુ મદદ આપે એ નજીવો પુરાવો ન ગણાય.

આ જ પ્રશ્ન અંગે બીજી પણ આશ્રમમાં થયેલી ચોખવટ, તેને અંગે ઊઠેલા નાજુક પ્રશ્નોનો ઉકેલ, કેટલીક અણધારી અગવડોનું વધાવી લેવું, વગેરે સત્યની શોધને અંગે થયેલા પ્રયોગોનાં વર્ણનો પ્રસ્તુત હોવા છતાં મારે મેલી જ દેવાં પડે છે, એનું મને દુ:ખ છે. પણ હવે પછીનાં પ્રકરણોમાં આ દોષ રહ્યે જ જશે. અગત્યની હકીકતો મારે છોડવી પડશે, કેમ કે તેમાં ભાગ લેનારાં પાત્રો ઘણાં હજુ મોજૂદ છે, તેમની રજા વિના, તેમનાં નામો ને તેમની સાથેના પ્રસંગોનો છૂટથી ઉપયોગ કરવો અયોગ્ય લાગે છે. બધાની સંમતિ વખતોવખત માગવી અથવા તેમને લગતી હકીકતો તેમને મોકલી સુધરાવવી એ ન બને તેવું છે, ને આ આત્મકથાની મર્યાદાની બહારની એ વાત છે. તેથી, હવે પછીની કથા, જોકે મારી દષ્ટિએ સત્યના શોધકને સારુ જાણવાયોગ્ય છે તે છતાં, અધૂરી અપાયા કરશે એવો મને ડર છે. આમ છતાં, અસહકારના યુગ લગી ઈશ્વર પહોંચવા દે તો પહોંચવું એવી મારી ઇચ્છા અને આશા છે.