સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૩૧. એ સપ્તાહ !—૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૩૦. એ અદ્‌ભુત દૃશ્ય ! સત્યના પ્રયોગો અથવા આત્મકથા
એ સપ્તાહ !—૧
મોહનદાસ કરમચંદ ગાંધી
૩૨. એ સપ્તાહ !—૨ →


૩૧. એ સપ્તાહ !—૧

દક્ષિણમાં થોડી મુસાફરી કરી એપ્રિલની ચોથીએ ઘણે ભાગે મુંબઈ પહોંચ્યો. છઠ્ઠી ઊજવવા મારે મુંબઈ હાજર રહેવું એવો શ્રી શંકરલાલ બેંકરનો તાર હતો.

પણ તે પહેલાં દિલ્હીમાં તો હડતાળ ૩૦મી માર્ચે ઊજવાઈ હતી. દિલ્હીમાં સ્વ. શ્રધ્ધાનંદજી અને મરહૂમ હકીમસાહેબ અજમલખાનની આણ ચાલતી હતી. છઠ્ઠી તારીખ સુધી હડતાળની મુદત લંબાયાના ખબર દિલ્હી મોડા પહોંચ્યા હતા. દિલ્હીમાં તે તારીખે હડતાળ પડી તેવી કદી પૂર્વે પડી જ નહોતી. હિંદુ અને મુસલમાન બન્ને એકદિલ થવા લાગ્યા. શ્રધ્ધાનંદજીને જુમામસ્જિદમાં નોતરવામાં આવ્યા હતા ને ત્યાં તેમને ભાષણ કરવા દેવામાં આવ્યું હતું. આ બધું સત્તાવાળાઓ સહન નહોતા કરી શક્યા. સરઘસ રેલવે સ્ટેશન તરફ જતું હતું તેને પોલીસે રોકેલું. પોલીસે ગોળીબાર કરેલા. કેટલાક લોકો જખમી થયા. કંઈ ખૂન થયાં. દિલ્હીમાં દમનનીતિ શરૂ થઈ. શ્રધ્ધાનંદજીએ મને દિલ્હી બોલાવ્યો. મેં છઠ્ઠી ઊજવી તરત દિલ્હી જવા વિષે કર્યો હતો.

જેમ દિલ્હી તેમ જ લાહોર અમૃતસરનું હતું. અમૃતસરથી દા. સત્યપાલ અને કિચલુના તાર મને ચાંપીને બોલાવવાના હતા. આ બે ભાઈઓને હું તે વેળા મુદ્લ જાણતો નહોતો. પણ ત્યાંયે દિલ્હી થઈ જવાનો નિશ્ચય જણાવ્યો હતો.

છઠ્ઠીએ મુંબઈમાં સવારના પહોરમાં હજારો લોકો ચોપાટીમાં સ્નાન કરવા ગયા ને ત્યાંથી ઠાકુરદ્વાર*[૧] જવા સરઘસ નીકળ્યું. તેમાં સ્ત્રીઓ અને બચ્ચાં પણ હતાં. સરઘસમાં મુસલમાનોએ પણ સારી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સરઘસમાંથી અમને મુસલમાન ભાઈઓ એક મસ્જિદે લઈ ગયા. ત્યાં શ્રી સરોજિની દેવી પાસે ને મારી પાસે ભાષણ કરાવ્યાં. અહીં શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણીએ સ્વદેશીની અને હિંદુમુસલમાન ઐક્યની પ્રતિજ્ઞા લેવરાવવાની સૂચના કરી. મેં એવી ઉતાવળથી પ્રતિજ્ઞા લેવરાવવાની ના પાડી. જેટલું થઈ રહ્યું હતું એટલેથી સંતોષ માનવાની સલાહ આપી. પ્રતિજ્ઞા લીધા પછી ન તૂટે. સ્વદેશીનો અર્થ આપણે સમજવો જોઈએ. હિંદુમુસલમાન ઐક્યની જોખમદારીનો ખ્યાલ રહેવો જોઈએ વગેરે કહ્યું, ને સૂચવ્યું કે જેને પ્રતિજ્ઞા લેવાનો વિચાર હોય તે ચોપાટીના મેદાન ઉપર ભલે બીજી સવારે હાજર થાય.

મુંબઈની હડતાળ સંપૂર્ણ હતી.

અહીં કાયદાના સવિનય ભંગની તૈયારી કરી મૂકી હતી. ભંગ થઈ શકે એવી બે ત્રણ વસ્તુઓ હતી. જે કાયદાઓ રદ થવા લાયક હતા એવા અને જેમનો ભંગ બધા સહેલાઈથી કરી શકે એવા હતા તેમાંથી એકનો જ ઉપયોગ કરવો એવો ઠરાવ હતો. મીઠાના કરને લગતો કાયદો અળખામણો હતો. તે કર નાબૂદ થવા સારુ ઘણા પ્રયત્ન થઈ રહ્યા હતા. એટલે બધા પરવાના વિના મીઠું પોતાના ઘરમાં પકાવે એવી એક સૂચના મેં કરી હતી. બીજી સૂચના સરકારે પ્રસિધ્ધ થતાં અટકાવેલાં પુસ્તકો છપાવવા વેચવા બાબત હતી. આવાં બે પુસ્તકો મારાં જ હતાં: હિંદ સ્વરાજ અને સર્વોદય. આ પુસ્તકો છપાવવાં વેચવાં સહુથી સહેલો સવિનય ભંગ લાગ્યો. તેથી એ છપાવ્યાં ને સાંજનો ઉપવાસ છૂટ્યા પછી ને ચોપાટીની જંગી સભા વિસર્જન થયા પછી વેચવાનો પ્રબંધ થયો.

સાંજના ઘણા સ્વયંસેવકો આ પુસ્તકો વેચવા નીકળી પડ્યા. એક મોટરમાં હું નીકળ્યો ને એકમાં શ્રી સરોજિની નાયડુ નીકળ્યાં. જેટલી નકલો છપાવી હતી તેટલી ખપી ગઈ. આની કિંમત વસૂલ થાય તે લડતના ખર્ચમાં જ વાપરવાની હતી. દરેક નકલની કિંમત ચાર આના રાખવામાં આવી હતી. પણ મારા હાથમાં કે સરોજિની દેવીના હાથમાં ભાગ્યે કોઈએ ચાર આના મૂક્યા હોય. પોતાના ખીસામાં જે હોય તે ઠલવીને નકલો લેનારા ઘણા નીકળી પડ્યા. કોઈ દશ રૂપિયાની ને કોઈ પાંચની નોટ પણ આપતા. રૂપિયા ૫૦ની નોટ સુધી પણ એક નકલના મળ્યાનું મને સ્મરણ છે. લોકોને સમજાવવામાં આવ્યું હતું કે, લેનારને પણ જેલનું જોખમ છે. પણ ઘડીભર લોકોએ જેલનો ભય છોડ્યો હતો.

સાતમી તારીખે માલૂમ પડ્યું કે, જે ચોપડીઓ વેચવાનો સરકારે પ્રતિબંધ કર્યો હતો તે સરકારની દ્રષ્ટિએ વેચાઈ ન ગણાય. જે વેચાઈ તે તો તેની બીજી આવૃતિ ગણાય. જપ્ત થયેલી ચોપડીઓમાંની તે ન ગણાય. એટલે આ નવી આવૃતિ છાપવા, વેચવા, ખરીદવામાં કંઈ ગુનો ન ગણાય એમ સરકાર તરફથી કહેવામાં આવ્યું. આ ખબર સાંભળી લોકો નિરાશ થયા.

આ તારીખે ચોપાટી ઉપર સવારે સ્વદેશી વ્રતને સારુ ને હિંદુમુસ્લિમ વ્રતને સારુ લોકોને એકઠા થવાનું હતું. વિઠ્ઠલદાસ જેરાજાણીનો આ પહેલો અનુભવ થયો કે, ઊજળું એટલું દૂધ નથી. લોકો ઘણા ઓછા ભેળા થયા. આમાં બેચાર બહેનોનાં નામ મારી આગળ તરી આવે છે. પુરુષો પણ થોડા હતા. મેં વ્રત ઘડી રાખ્યાં હતાં. એનો અર્થ હાજર રહેલાંને ખૂબ સમજાવી તેમને લેવા દીધાં. થોડી હાજરીથી મને આશ્ચર્ય ન થયું, દુ:ખ પણ ન થયું. પણ ધાંધલિયા કામની વચ્ચે ને ધીમા રચનાત્મક કામની વચ્ચેનો ભેદ અને પહેલાનો પક્ષપાત અને બીજાનો અણગમો ત્યારથી હું અનુભવતો આવ્યો છું.

પણ આ વિષયને નોખું પ્રકરણ આપવું પડશે.

સાતમીની રાતે હું દિલ્હી અમૃતસર જવા નીકળ્યો. આઠમીએ મથુરા પહોંચતાં કંઈ ભણકાર આવ્યો કે કદાચ મને પકડશે. મથુરા પછી એક સ્ટેશને ગાડી ઊભી રહેતી હતી ત્યાં આચાર્ય ગિદવાણી મળ્યા. તેમણે હું પકડાવાનો છું. એવા વિશ્વાસપાત્ર ખબર આપ્યા ને પોતાની સેવાની જરૂર હોય તો આપવા કહ્યું. મેં ઉપકાર માન્યો ને જરૂર પડ્યે સેવા લેવા નહીં ભૂલું એમ જણાવ્યું.

પલવલ સ્ટેશન આવે તે પહેલાં પોલીસ અમલદારે મારા હાથમાં હુકમ મૂક્યો. ’તમારા પંજાબમાં પ્રવેશ કરવાથી અશાંતિ વધવાનો ભય છે, તેથી તમારે પંજાબની સરહદમાં દાખલ ન થવું,’ આવી જાતનો હુકમ હતો. હુકમ આપી મને ઊતરી જવા પોલીસે કહ્યું. મેં ઊતરવાની ના પાડી ને કહ્યું: ’હું અશાંતિ વધારવા નહીં પણ આમંત્રણ મળવાથી અશાંતિ ઘટાડવા જવા માગું છું, એટલે હું દિલગીર છું કે, આ હુકમને મારાથી માન નહીં આપી શકાય.’

પલવલ આવ્યું. મહાદેવ મારી સાથે હતા. તેમને દિલ્હી જઈ શ્રધ્ધાનંદજીને ખબર આપવા ને લોકોને શાંત રાખવાનું કહ્યું. હુકમનો અનાદર કરી જે સજા હશે તે વહોરી લેવાનો નિશ્ચય કર્યો છે એમ કહે, અને સજા થતાં છતાં લોકોના શાંત રહેવામાં જ આપણી જીત છે એમ સમજાવે, એમ મહાદેવને કહ્યું.

પલવલ સ્ટેશન ઉપર મને ઉતારી લીધો ને પોલીસને હવાલે કર્યો. દિલ્હીથી આવતી કોઈ ટ્રેનના ત્રીજા વર્ગના ડબ્બામાં મને બેસાર્યો, સાથે પોલીસની પાર્ટી બેઠી. મથુરા પહોંચતાં મને પોલીસ બેંરેકમાં લઈ ગયા. મારું શું થશે ને ક્યાં લઈ જવાનો છે એ કંઈ અમલદાર મને કહી ન શક્યો. સવારના ચાર વાગ્યે મને ઉઠાડ્યો ને માલની ગાડી મુંબઈ તરફ જતી હતી તેમાં મને લઈ ગયા. બપોરના સવાઈમાધુપુર ઉતારી મૂક્યો. ત્યાં મુંબઈની મેલ ટ્રેનમાં લાહોરથી ઈન્સ્પેકટર બોરિંગ આવ્યા. તેમણે મારો કબજો લીધો.

હવે મને પહેલા વર્ગમાં ચડાવ્યો. સાથે સાહેબ બેઠા. અત્યાર લગી હું સામાન્ય કેદી હતો, હવે ’જેન્ટલમેન કેદી’ ગણાવા લાગ્યો. સાહેબે સર માઈકલ ઓડવાયરનાં વખાણ શરૂ કર્યા. તેમને મારી સામે તો કંઈ જ નથી, પણ મારા પંજાબમાં જવાથી તેમને અશાંતિનો પૂરો ભય છે વગેરે કહી, મારી મેળે પાછા જવા ને ફરી પંજાબની સરહદ ન ઓળંગવા વીનવ્યો. મેં તેમને કહી દીધું કે, મારાથી હુકમનો અમલ નહીં થઈ શકે ને સ્વેચ્છાએ હું પાછો જવા તૈયાર નથી. એટલે સાહેબે લાચારીથી કાયદાનો અમલ કરવાની વાત કરી. ’પણ મારું શું કરવા ધારો છો એ કહેશો ?’ મેં પૂછ્યું તો કહે, ’મને ખબર નથી. મને બીજા હુકમ મળવા જોઈએ. હમણાં તો તમને હું મુંબઈ લઈ જાઉં છું.’

સુરત આવ્યા એટલે કોઈ બીજા અમલદારે મારો કબજો લીધો. રસ્તામાં મને કહ્યું: ’તમે છૂટા છો, પણ તમારે સારુ મરીન લાઈન્સ સ્ટેશન પાસે ગાડી થોભાવીશ ને તમે ત્યાં ઊતરો તો વધારે સારું. કોલાબા ઉપર વધારે ભીડ થવાનો સંભવ છે.’ મેં તેને અનુકૂળ થવા ખુશી બતાવી. તે રાજી થયો ને ઉપકાર માન્યો. મરીન લાઈન્સ ઊતર્યો. ત્યાં કોઈ ઓળખીતાની ઘોડાગાડી જોઈ. તે મને એવાશંકર ઝવેરીને ઘેર મૂકી ગયા. તેમણે મને ખબર આપ્યા : ’તમારા પકડાવાના ખબર મળવાથી લોકો ગુસ્સામાં આવી ગયા છે ને ગાંડા જેવા બની ગયા છે. પાયધૂની પાસે હુલ્લડનો ભય છે. મેજિસ્ટ્રેટ અને પોલીસ ત્યાં પહોંચી ગયા છે.’

હું ઘેર પહોંચ્યો તેવામાં ઉંમર સોબાની અને અનસૂયાબહેન મોટરમાં આવ્યાં ને મને પાયધૂની લઈ જવા કહ્યું : ’લોકો અધીરા થઈ ગયા છે ને ઉશ્કેરાયા છે. અમારા કોઈથી શાંત રહે તેમ નથી. તમને જોશે તો જ શાંત થશે.’

હું મોટરમાં બેસી ગયો. પાયધૂની પહોંચતાં જ રસ્તામાં મોટી મેદની જોવામાં આવી. લોકો મને જોઈને હર્ષઘેલા થયા. હવે સરઘસ બન્યું. ’વન્દેમાતરમ’ ’અલ્લાહો અકબર’ના અવાજથી આકાશ ચિરાયું. પાયાધૂની ઉપર ઘોડેસવારોને જોયા. ઉપરથી ઈંટોના વરસાદ વરસતા હતા. હું લોકોને શાંત થવા હાથ જોડીને વીનવતો હતો. પણ અમે પણ આ ઈંટના વરસાદમાંથી બચીએ એમ ન લાગ્યું.

અબ્દુર રહેમાન ગલીમાંથી ક્રોફર્ડ મારકેટ તરફ જતા સરઘસને અટકાવવા સારુ ઘોડેસવારોની ટુકડી સામેથી આવી પહોંચી. સરઘસને કોટ તરફ જતું અટકાવવા તેઓ મથતા હતા. લોકો માતા નહોતા. લોકોએ પોલીસની લાઈનને ચીરીને આગળ ઘસારો કર્યો. મારો અવાજ સંભળાય તેમ નહોતું. આ ઉપરથી ઘોડેસવારની ટુકડીના ઉપરીએ ટોળાને વિખેરવાનો હુકમ કર્યો, ને ભાલા ઉગામતી આ ટુકડીએ એકદમ ઘોડાને છોડી મૂક્યા. તેમાંનું ભાલું અમારો પણ નિકાલ કરે તો નવાઈ નહીં એવો મને ભય લાગ્યો. પણ એ ભયમાં વજૂદ નહોતું. પડખે થઈને બધાં ભાલાં રેલગાડી વેગે સરી જતાં હતાં. લોકોના ટોળામાં ભંગાણ પડ્યું. દોડદોડ મચી. કોઈ કચરાયા, કોઈ ઘવાયા. ઘોડેસવારને નીકળવા સારુ મારગ નહોતો. લોકોને આસપાસ વીખરાવાનો મારગ નહોતો. તેઓ પાછા ફરે તોયે પાછળ હજારો ચસોચસ ભરાયા હતા. બધો દેખાવ ભયંકર લાગ્યો. ઘોડેસવારો અને લોકો બંને ગાંડા જેવા લાગ્યા. ઘોડેસવારો કંઈ જોતા કે જોઈ શક્તા નહોતા. તેઓ તો વાંકા વળી ઘોડાને દોડાવી રહ્યા હતા. જેટલી ક્ષણ આ હજારોનાં ટોળાંને ચીરવામાં ગઈ તેટલી ક્ષણ લગી તેઓ કંઈ દેખી જ ન શકે એમ મેં જોયું.

લોકોને આમ વિખેર્યા ને રોક્યા. અમારી મોટરને આગળ જવા દીધી. મેં કમિશનરની ઓફિસ આગળ મોટર રોકાવી ને હું તેની પાસે પોલીસની વર્તણૂકને સારુ ફરિયાદ કરવા ઊતર્યો.

  1. * અહીં ’ઠાકુરદ્વાર’ને બદલે ’માધવબાગ’ વાંચવું. અત્યાર સુધીની અંગ્રેજી તેમ જ ગુજરાતી આવૃત્તિમાં આ ભૂલ ચાલતી આવેલી છે. એ વખતે ગાંધીજીની સાથે રહેનારા શ્રી મથુરદાસ ત્રિકમજીએ ભૂલ સુધરાવી હતી.