સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૦. પ્રિટોરિયામાં પહેલો દિવસ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૯. વધુ હાડમારી સત્યના પ્રયોગો અથવા આત્મકથા
પ્રિટોરિયામાં પહેલો દિવસ
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૧. ખ્રિસ્તી સંબંધો →


૧૦. પ્રિટોરિયામાં પહેલો દિવસ

પ્રિટોરિયા સ્ટેશને દાદા અબદુલ્લાના વકીલ તરફથી કોઈક માણસ મને મળશે એવી મેં આશા રાખી હતી. કોઈ હિંદી તો મને લેવા ન જ આવ્યા હોય એ હું જાણતો હતો, અને કોઈ પણ હિંદી ને ત્યાં રહેવા ન જવાના વચનથી બંધાયો હતો. વકીલે કોઇ માણસને સ્ટેશને નહોતો મોકલ્યો. પાછળથી હું સમજી શક્યો કે હું પહોંચ્યો તે દિવસ રવિવાર હોવાથી, કંઈક અગવડ ભોગવ્યા વિના એ કોઇને મોકલી શકે એમ નહોતું. હું મૂંઝાયો. ક્યાં જવુ એના વિચારમાં પડ્યો. કોઇ હોટલ મને સંઘરે એવી મને ધાસ્તી હતી. ૧૮૯૩ની સાલનું પ્રિટોરિયા સ્ટેશન ૧૯૧૪ના પ્રિટોરિયા સ્ટેશન કરતાં જુદું જ હતું. ઝાંખી બત્તીઓ બળતી હતી. ઉતારૂઓ પણ ઘણા નહોતા, મેં બધા ઉતારૂઓને જવા દીધા અને વિચાર્યુ કે, જરા નવરો થાય એટલે ટિકિટ-કલેક્ટરને મારી ટિકિટ આપીશ અને એ મને કોઇ નાનકડી હોટેલ અથવા એવું કોઇ મકાન બતાવે તો ત્યાં જઈશ, અથવા તો રાત સ્ટેશન ઉપર પડ્યો રહીશ. આટલું પૂછવા પણ મન નહોતું વધતુ, કેમ કે અપમાન થવા નો ડર હતો.

સ્ટેશન ખાલી થયું. મેં ટિકિટ-કલેક્ટરને ટિકિટ આપીને પૂછવાનું શરૂ કર્યુ. તેણે વિનયપૂર્વક જવાબ આપ્યા, પણ મેં જોયુ કે તે બહુ મદદ કરી શકે એમ નહોતું. તેને પડખે એક અમેરિકન હબસી ગૃહસ્થ ઊભો હતો. તેણે મારી સાથે વાત શરૂ કરી :

'હું જોઉં છું કે તમે તદ્દન અજાણ્યા છો અને તમારે કોઈ મિત્ર નથી. મારી સાથે આવો તો હું તમને એક નાનકડી હોટેલ છે ત્યાં લઈ જાઉં. તેનો માલિક અમેરિકન છે અને તેને હું સારી રીતે ઓળખુ છું. મને લાગે છે કે એ તમને સંઘરશે'.

મને કંઈક શક તો આવ્યો, પણ મેં આ ગૃહસ્થનો ઉપકાર માન્યો અને તેની સાથે જવાનુ કબૂલ કર્યુ. તે મને જોન્સ્ટનની ફેમિલી હોટેલમાં લઈ ગયો. પ્રથમ તેણે મિ. જોન્સ્ટનને એક કોરે લઈ જઈ થોડી વાત કરી. મિ. જોન્સ્ટનને મને એક રાતને સારૂ રાખવાનુ કબૂલ કર્યુ. તે પણ એવી શરતે કે મને ખાવાનું મારી કોટડીમાં પહોંચાડે.

'હું તમને ખાતરી આપુ છું કે મને તો કાળા ધોળાનો મુદ્દલ ભેદ નથી. પણ મારી ઘરાકી કેવળ ગોરાઓની જ છે. અને જો તમને હું ખાણાઘરમાં ખાવા દઉં તો મારા ઘરાકો કોચવાય અને કદાચ જતા રહે'. મિ. જોન્સ્ટને કહ્યુ.

મેં જવાબ આપ્યો, 'મને તમેં એક રાતને સારૂ સંઘરો એ પણ હું તો તમારો ઉપકાર સમજું. આ મુલકની સ્થિતિથી હું કંઈક વાકેફ થયો છું. તમારી મુશ્કેલી હું સમજી શકું છું. મને સુખેથી મારી કોટડીમાં પીરસજો. આવતી કાલે તો હું બીજો બંદોબસ્ત કરી લેવાની ઉમેદ રાખું છું.

મને કોટડી આપી. હું તેમાં પેઠો. એકાંત મળ્યે ખાણાની રાહ જોતો વિચારગ્રસ્ત થયો. આ હોટેલમાં ઘણા ઉતારુઓ નહોતા રહેતા. થોડી વારમાં ખાણું લઈને વેટરને આવતો જોવાને બદલે મેં મિ. જોન્સ્ટનને જોયો. તેણે કહ્યુ. ' મેં તમને અહીં પીરસાશે એમ કહ્યું એની મને શરમ લાગી. તેથી મેં મારા ઘરાકોને તમારે વિષે વાત કરી ને તેઓને પૂછ્યુ. તેમને તમે ખાણાઘરમાં જમો એ સામે કશો વાંધો નથી. વળી તમે અહીંયા ગમે તેટલી મુદત રહો તેમાંયે તેમને અડચણ નથી. એટલે હવે તમારી ઇચ્છા હોય તો તમે ખાણાઘરમાં આવો અને તમારી મરજીમાં આવે ત્યાં લગી અહીં રહેજો.'

મેં ફરી ઉપકાર માન્યો, અને હું ખાણાના ઓરડામાં ગયો. નિશ્ચિત પણે ખાધું.

બીજે દિવસે સવારે વકીલને ત્યાં ગયો. તેમનું નામ એ. ડબલ્યુ. બેકર. તેમને મળ્યો. અબદુલ્લા શેઠે તેમનું કંઈક વર્ણન મને આપ્યું હતું, એટલે અમારી પહેલી મુલાકાતથી મને કંઈ આશ્ચર્ય ન લાગ્યું. તેં મને ભાવથી ભેટ્યા ને મારે વિષે થોડી હકીકત પૂછી, જે મેં તેમને કહી. તેમણે કહ્યુ, બારિસ્ટર તરીકે તો તમારો ઉપયોગ અહીંયા કંઈ જ થાય એમ નથી. અમે સારામાં સારા બારિસ્ટરને આ કેસમાં રોકી લીધેલા છે. કેસ લાંબો અને ગૂંચવાડાભરેલો છે, એટલે તમારી પાસેથી તો મને જોઈતી હકીકત વગેરે મળી શકે એટલુ જ કામ હું લઈ શકીશ. પણ મારા અસીલ સાથે પત્રવ્યવહાર કરવાનું હવે મને સહેલું થઈ પડશે, અને જે હકીકત તેમની પાસેથી જોઈશે તેં તમારી મારફત હું મંગાવી શકીશ. એ ફાયદો છે ખરો. તમારે સારુ ઘર તો હજી સુઘી મેં નથી શોધ્યું તમને જોયા પછી શોધવું એમ વિચાર રાખ્યો હતો. અહીં રંગભેદ બહુ છે, એટલે ઘર શોધવું સહેલું નથી. પણ એક બાઈને હું જાણું છું. તે ગરીબ છે, ભઠિયારાની સ્રી છે. મને લાગે છે કે એ તમને રાખશે. એને પણ કંઈક મદદ થશે. ચાલો, આપણે તેને ત્યાં જઈએ.'

આમ કહીને મને ત્યાં લઈ ગયા. બાઈની સાથે મિ. બેકરે એક બાજુએ જઈ થોડી વાત કરી અને તેણે મને સંઘરવાનો સ્વીકાર કર્યો. અઠવાડિયાના ૩૫ શિલિંગથી મને ત્યાં રાખ્યો.

મિ. બેકર વકીલ તેમ જ ધર્મચુસ્ત પાદરી હતા. હ્જુ તેઓ હયાત છે ને હાલ કેવળ પાદરીનું જ કામ કરેછે. વકીલાતનો ધંધો છોડી દીધો છે. પૈસેટકે સુખી છે. તેમણે હજુ મારી સાથે પત્રવ્યવહાર કાયમ રાખ્યો છે. કાગળોનો વિષય એકજ હોયછે. જુદી જુદી રીતે ખ્રિસ્તી ધર્મની ઉત્તમતા વિષે પોતાના કાગળમાં મારી સાથે ચર્ચા કરેછે, અને ઇશુને ઈશ્વરના એકમાત્ર પુત્ર તરીકે સ્વીકાર્યા વિના અને તેને તારણહાર માન્યા વિના પરમ શાંતિ મળવાની નથી એ વસ્તુનું પ્રતિપાદન કરેછે.

અમારી પહેલી જ મુલાકાત દરમ્યાન મિ. બેકરે ધર્મ સંબંધી મારી મનોદશા જાણી લીધી. મેં તેમને કહી દીધુ : 'હું જન્મે હિંદુ છું. એ ધર્મનું પણ મને બહુ જ્ઞાન નથી, બીજા ધર્મોનું ઓછું જ્ઞાન છે. હું ક્યાં છું, હું શું માનું છું, મારે શું માનવું જોઈએ, એ બધું હું જાણતો નથી. મારા પોતાના ધર્મનું નિરીક્ષણ કરવા ઈચ્છું છુ> બીજા ધર્મોનો પણ અભ્યાસ યથાશક્તિ કરવાનો મારો ઈરાદો છે..' આ બધું સાંભળી મિ. બેકર રાજી થયા અને મને કહ્યું, 'હું પોતે સાઉથ આફ્રિકા જનરલ મિશનનો એક ડિરેકટર છું. મારે પોતાને ખરચે મેં એક દેવળ બાંધ્યુ છે. તેમાં વખતોવખત હું ધર્મના વ્યાખ્યાનો આપુ છુ. હું રંગભેદ માનતો નથી. મારી સાથે કેટલાક સાથીઓ પણ કામ કરનારા છે. અમે હમેશાં એક વાગ્યે થોડી મિનિટ મળીએ છીએ અને આત્માની શાંતિ તેમજ પ્રકાશ (જ્ઞાનના ઉદય) ને ખાતર પ્રાથના કરીએ છીએ. એમાં તમે આવશો તો હું રાજી થઈશ. ત્યાં મારા સાથીઓની પણ તમને ઓળખાણ કરાવીશ. તેઓ બધા તમને મળીને રાજી થશે, અને તમને પણ તેમનો સમાગમ ગમશે એવી મારી ખાતરી છે. હું કેટલાક ધર્મપુસ્તકો પણ તમને વાંચવા આપીશ, પણ ખરું પુસ્તક તો બાઈબલ જ છે. તે વાંચવા મારી તમને ખાસ ભલામણ છે.'

મેં મિ. બેકરનો ઉપકાર માન્યો અને એક વાગ્યે તેમના મંડળમાં પ્રાથનાને સારુ, બની શકે ત્યાં લગી, જવાનું કબૂલ કર્યુ.

'ત્યારે આવતી કાલે એક વાગ્યે અહીં જ આવજો અને આપણે સાથે પ્રાથનામંદિરમાં જઈશું.'

અમે છૂટા પડ્યા. ઘણા વિચારો કરવાની હજુ મને નવરાશ નહોતી. મિ. જોન્સ્ટન પાસે ગયો. બિલ ચુકવ્યું. નવા ઘરમાં ગયો. ત્યાં જમ્યો. ઘરધણી બાઈ ભલી હતી. તેણે મારે સારુ અન્નાહાર તૈયાર કર્યો હતો. આ કુટુંબની અંદર તુરત ભળી જતાં મને વાર ન લાગી. ખાઈપરવારીને દાદા અબદુલ્લાના જે મિત્ર ઉપર મને કાગળ હતો તેમને મળવા ગયો. તેમની ઓળખાણ કરી. તેમની પાસેથી હિંદીઓની હાડમારીની વિશેષ વાતો જાણી. તેમણે પોતાને ત્યાં રહેવાનો મને આગ્રહ કર્યો. મેં ઉપકાર માન્યો અને મારે સારુ જે વ્યવસ્થા થઈ ગઈ હતી તેની વાત કરી. જોઈતુંકારવતું માગી લેવા તેમણે મને આગ્રહપૂર્વક કહ્યું.

સાંજ પડી. વાળુ કર્યુ. ને હું તો મારી કોટડીમાં જઈ વિચારના વમળમાં પડ્યો. મેં મારે સારુ તુરત કંઈ કામ જોયુ નહીં. અબદુલ્લા શેઠને ખબર આપી. મિ. બેકરની મિત્રાચારીનો શો અર્થ હોઈ શકે ? એમના ધર્મબંધુઓ પાસેથી હું શું મેળવીશ ? મારે ખ્રિસ્તી ધર્મના અભ્યાસમાં ક્યાં સુધી જવું ? હિંદુ ધર્મ નું સાહિત્ય કયાંથી મેળવવું ? તે જાણ્યા વિના ખ્રિસ્તી ધર્મનું સ્વરૂપ મારાથી કેમ જાણી શકાય ? એક જ નિર્ણય કરી શકાશે : મારે જે અભ્યાસ પ્રાપ્ત થાય તે નિષ્પક્ષપાત પણે કરવો, અને મિ. બેકરના સમુદાયને, તે તે વખતે ઈશ્વર સુઝાડે તે જવાબ આપી દેવો. મારો ધર્મ હું પૂરો સમજી ન શકું ત્યા લગી મારે બીજા ધર્મોનો સ્વીકાર કરવાનો વિચાર ન કરવો. આમ વિચાર કરતાં હું નિંદ્રાવશ થયો.